મિલેટસ-દેશ માટેનો ભાવિ ઉત્તમ ખોરાક (Millets-The future super food for India)

(8.1) પ્રસ્તાવના (Introduction)

મિલેટસ એટલે જાડાં કે હલકાં તૃણ ધાન્યો. મિલેટસ એ પરંપરાગત રીતે વાવેતર કરવામાં આવતા પાકો છે જે પોષણ મૂલ્ય અને તંદુરસ્તીના લાભો એમ બંને રીતે શ્રેષ્ઠ છે. ખાસ કરીને તેની બનાવટોની માંગ શહેરી વિસ્તારોના વપરાશકારોમાં વધતી જાય છે જેનું કારણ તેઓની જીવનશૈલીને કારણે થતા રોગો છે. મિલેટસ સૂકા અને અર્ધસૂકા વાતાવરણમાં થતા અનો ઊંચા ઉષ્ણતામાન સામે ટકી શકે તેવા સખ્ત પાકો છે. ડાંગરના પાકને ૧૨૦૦ મિ.મી. પાણીની જરૂરિયાતની સરખામણીએ મિલેટસ દુષ્કાળના વાતાવરણમાં ૩૫૦ મિ.મી. પાણીથી પણ થઇ શકે છે. આ પાકો ખોરાક, ચારો, બળતણ અને તેલીબિયાં પાકો સાથે આંતરપાક કે મિશ્રપાક તરીકે તેનું વાવેતર કરી શકાય છે. એશિયા અને આફ્રિકાની સંસ્કૃતિમાં મિલેટસ સ્થાનિક આહાર તરીકે જાણીતા છે અને ટકાઉ કૃષિમાં અને વિશ્વને તંદુરસ્ત રાખવામાં તેનો મુખ્ય ફાળો છે. મિલેટસ પ્રતિકુળ હવામાનનો સામનો કરી આવક આપતા પાક હોઇ ખેડૂતોને આર્થિક રીતે સલામતી પુરી પાડે છે. મિલેટસ દુષ્કાળ અને પુર જેવી હવામાનની પ્રતિકુળ પરિસ્થિતિઓનો સામનો કરે તેવો પાક હોઇ ૨૧ મી સદીમાં ઘટતા જતા કુદરતી સ્ત્રોતો અને હવામાન ફેરફારની સામે ટક્કર જીલી શકે છે. હવામાન ફેરફારની અસર ડાંગર અને ઘઉં ના પાક ઉપર થાય છે તેવી અસર મિલેટસ પાકો ઉપર થતી નથી. ભારત દેશ જુવાર, બાજરી, નાગલી, સામો, ચીણો, કાંગ, બંટી, કોદરા અને બ્રાઉન ટોપ મિલેટ એમ નવ જેટલા વિવિધ મિલેટસનું ઉત્પાદન કરતો મોટો દેશ છે અને વિશ્વમાં મિલેટસની નિકાસ કરતો દેશોમાં દ્રિતીય ક્રમે છે.

મિલેટસ પાકોના સંશોધન અંને વિકાસ તેમજ કલાઇમેટ સ્માર્ટ ક્રોપ તથા પોષણમાં વધારો કરવાની ક્ષમતા ઉપર માટે ભાગે દરકાર કરવામાં આવી નથી. તેનું વિશ્વમાં મોટા પાયે વાવેતર કરી શકાય તેમ છે. તેનું નાના અને સીમાંત ખેડૂતો ધ્વારા વાવેતર કરવામાં આવે છે અને તે પણ બિનઉત્પાદક જમીનોમાં કે જે ઓછુ ઉત્પાદન આપે છે. સરકારની નીતિ ફક્ત અમુક જ પાકો પુરતી હોઇ મિલેટસ પાકોના વાવેતર તરફ ધ્યાન આપવામાં આવેલ નથી. વિશેષમાં ખેડૂતો અન્ય પાકોની સરખામણીએ મિલેટસ પાકોના વાવેતરમાં ઓછુ વળતર મેળવે છે. જો કે મિલેટસ પાકોમાં વધુ ઉત્પાદન આપતી જાતો અને સંકર (હાઇબ્રિડ) જાતોનો વિકાસ કરી તેની ઉત્પાદક્તામાં વધારો કરી આર્થિક ફાયદો મેળવી શકાય તેમ છે. આવા પાકોને મુખ્ય પાક તરીકે વપરાતા ડાંગર અને ઘઉંની જેમ તેનું ઉત્પાદન વધારી પ્રોસેસિંગ કરી શકાય તેમ છે.

મુખ્ય ધાન્યપાકોની સરખામણીએ મિલેટસ આકાર, દેહધાર્મિક રચના, પરમાણુ અને જૈવરાસાયણિક સંબંધિત  કેટલાક લક્ષણો ધરાવે છે જે તેને પર્યાવરણીય તણાવ સામે સારી સહનશીલતા પુરી પાડે છે. ડાંગર અને ઘઉંના પાકનું જીવનચક્ર ૨૦ થી ૨૪ અઠવાડીયાનું હોય છે તેની સરખામણીએ મિલેટસનું જીવનચક્ર ૧૨ થી ૧૪ અઠવાડીયાનું હોઇ તે તણાવની પરિસ્થિતિમાં છટકી જઇ શકે છે.

એશિયા અને આફ્રિકાની સંસ્કૃતિના સ્થાનિક આહારમાં મિલેટનો સમાવેશ થાય છે જેનો ટકાઉ ખેતી અને વિશ્વના આરોગ્યમાં મહત્વનો ફાળો છે. મિલેટ એ વાતાવરણની પ્રતિકુળ પરિસ્થિતિનો સામનો કરી શકે તેવો પાક અને ખેડૂતોની આવકનો સ્ત્રોત હોઇ તે આર્થિક રીતે સલામતી પુરી પાડે છે. મિલેટસ દુષ્કાળ અને પુર સહિત વાતાવરણની પ્રતિકુળ પરિસ્થિતિનો સામનો કરી શકે તેવા એકવીસમી સદીનો આદર્શ પાક છે કે જે સદી કુદરતી સ્ત્રોતોનો ઘટાડો અને હવામાન પરિવર્તનનો સામનો કરી રહી છે.

(8.2) મિલેટસનો ઇતિહાસ (Millets-Historical  perspective)

મિલેટસનો ઉદ્‌ભવ એશિયા અને આફ્રિકામાંથી થયેલ છે જેનો તે વિસ્તારોના સ્થાનિક લોકોએ ઘરવરાશમાં ઉપયોગ કર્યો અને ત્યાંથી તેનો ફેલાવો વિશ્વના વિવિધ દેશોમાં થયો. વિવિધ વિસ્તારમાં તેની અનુકુળતા મુજબ તેના વિવિધ ઉપયોગ થવા માંડ્યા. અત્રે વિવિધ મિલેટસના ઉદ્‌ભવ અંગેની ટુંકી માહિતી દર્શાવેલ છે.

() જુવાર :

જુવારને અંગ્રેજીમાં Sorghum કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ  Sorghum bicolor છે. તે વૈજ્ઞાનિક રીતે સી-૪ છોડ તરીકે જાણીતો છે. તે સૂર્ય-ઊર્જાના સારી રીતે ઉપયોગ કરે તેવો પાક છે અને તે પાણીનો ઉપયોગ કરી આહાર અને બાયોેમાસ પેદા કરે છે. તેના દાણા મુખ્યત્વે ખોરાક તરીકે રોટલા બનાવવા તેમજ વિવિધ પ્રકારની આહારની બનાવટો બનાવવા માટે વપરાય છે. જુવારનો ઉદ્દભવ   ઉત્તર-પૂર્વ આફ્રિકામાં થયેલ છે જે ત્યાં આશરે ૫,૦૦૦ થી ૮,૦૦૦ વર્ષ પહેલાં સ્થાયી થયેલ છે. જુવારનું બીજુ ઉદ્દભવસ્થાન ભારત દેશ છે કે જ્યાં ૪૫૦૦ વર્ષ પહેલાં વાવેતર થયાના દાખલા મોજૂદ છે. જુવારના પુળા પશુઓના ચારા માટેનો વિશાળ સ્ત્રોત છે. પચાસ કરોડથી વધુ લોકો જુવારનો મુખ્ય ખોરાક તરીકે વિવિધ રીતે ઉપયોગ કરે છે  તેમજ તે આવકનો મહત્ત્વનો સ્ત્રોત છે.       

() બાજરી :

બાજરીને અંગ્રેજીમાં Pearl millet કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ Pennisetum glaucum છે. ડાંગર અને ઘઉં બાદ ભારતમાં મોટા પાયે તેનું ધાન્ય તરીકે વાવેતર કરવામાં આવે છે. બાજરીનો ઉદભવ પશ્વિમ આફ્રિકામાંથી થયેલ છે. ઇ.સ.પૂર્વે ૪૫૦૦ માં ઉત્તર-મધ્ય સાહેલિયન આફ્રિકામાં બાજરીના ઘરેલુ વપરાશનો ઉલ્લેખ છે.નવ કરોડથી વધુ ગરીબ લોકો આહાર અને આવક માટે બાજરી ઉપર નભે છે. સામાન્ય રીતે આફ્રિકા અને એશિયાના સૂકા પ્રદેશોમાં રહેતા લોકો બાજરીનું વાવેતર કરે છે કે જ્યાં અન્ય પાકો મોટે ભાગે થઇ શક્તા નથી. આમ બાજરી તેઓને અન્નની સલામતી પુરી પાડે છે.

() રાગી (નાગલી) :

રાગીને અંગ્રેજીમાં Finger millet કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ Eleusine coracana છે. તે દક્ષિણ ભારત અને પૂર્વ ભારત અને પૂર્વ તથા મધ્ય આફ્રિકાના ગરીબ લોકોનો મહત્ત્વનો આહાર છે. રાગીનો ઉદ્દભવ પશ્વિમ તાન્ઝાનિયા અથવા ઇથીયોપિયન હાઇલેન્ડઝ વિસ્તારમાં થયેલ છે. આફ્રિકામાં ધાન્ય તરીકે ઘરેલું વપરાશ થાય છે. ત્યાંથી તેનો ફેલાવો એશિયાની આજુબાજુના પ્રદેશોમાં થયેલ છે. એશિયામાં ભારતના હિમાલયથી નેપાળ અને દક્ષિણ ચીન સુધી તેનો ફેલાવો થયો છે. તેના દાણા પોષણદાયી અને ઉત્તમ માલ્ટિંગ ગુણ ધરાવે છે.પૂર્વ અને દક્ષિણ આફ્રિકા તથા દક્ષિણ એશિયાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં રાગી આહારની જરૂરિયાત પુરી પાડવી અને આવક આપવી એમ બંને રીતે મહત્ત્વનો ફાળો આપે છે.

() સામો :

તેને અંગ્રેજીમાં Barnyard millet કહે છે.તેનું વૈજ્ઞાનિક નામ Echinochloa colona છે. જ્યાં ડાંગર અને અન્ય પાકો થઇ શકતા નથી તેવી સીમાંત જમીનોમાં સામાનું વાવેતર થાય છે.ખાસ કરીને ભારતમાં ધાન્ય અને ચારા માટે ઉત્તરાખંડની ટેકરીઓવાળા વિસ્તારોમાં તથા પૂર્વ એશિયા, આફ્રિકાના કેટલાક ભાગો અને પૂર્વ યુએસએમાં કિંમતી ચારા માટે ઉગાડવામાં આવે છે. તેના ઉદ્દભવ અંગે કોઇ ખાસ માહિતી મળતી નથી. સામાન્યપણે મધ્ય એશિયામાંથી ઉદ્દભવ થયો હોવાનું મનાય છે. તેની Echinochloa crus-galli  જાતનું જાપાન, ચીન, અને કોરીયામાં જ્યારે Echinochloa frumentacea જાતનું ભારતમાં ઘરેલું વાવેતર થાય છે.બધા મિલેટસમાં આ મિલેટ સૌથી ઝડપી રીતે ઉગે છે. તેમાંની કેટલીક જાતો ફક્ત છ અઠવાડીયામાં પાકી જાય છે.

(૫) ચીણો :

તેને અંગ્રેજીમાં Proso millet fu Common milletકહે છે.તેનું વૈજ્ઞાનિક નામ Panicum miliaceum છે. તેનું એશિયા, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકાના સૂકા વિસ્તારોમાં ટુંકા ગાળાના પાક તરીકે વાવેતર કરવામાં આવે છે. તેના દાણાની ઉપરનું પડ દુર કર્યા બાદ મળતું પૌષ્ટિક ધાન્ય રોટલી (આથા વિનાની બ્રેડ) કે રાંધીને ખવાય છે. ચીણો એ ઇતિહાસમાં સાચુ મિલેટ  ગણાય છે અને તે જૂનામાં જૂનો માનવ આહાર છે. તેનો ધાન્ય તરીકે પ્રથમ વપરાશ થયો હોવાનું માનવામાં આવે છે. મધ્ય અથવા પૂર્વ એશિયાનું વતની હોવાના મોટા ભાગના પૂરાવા મળેલ છે. મોંગોલિયા, પૂર્વ એશિયા, ચીનની યલો રીવર વેલી તેનું ઉદ્દભવ સ્થાન સૂચવે છે. ચીણો વિવિધ જમીનો અને હવામાનમાં અનુકુળ આવે છે. ઓછા પાણીની જરૂરિયાત અને ટુંકા ગાળાનો પાક  હોઇ ઉત્તર ભારતના વિસ્તારોમાં અને ઊંચાણવાળા પ્રદેશોમાં સારી રીતે થાય છે.

() કાંગ :

તેને અંગ્રેજીમાં Foxtail millet કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ Setaria italica   છે. તેના દાણા ડાંગરને ખૂબ મળતા આવે છે તેનો ઉપયોગ કરતાં પહેલાં દાણા ઉપરની ફોતરીને દૂર કરવી જરૂરી છે. ચીનમાં ૮૦૦૦ વર્ષ પહેલાં તેનું ઘરેલું વાવેતર થાય છે. ચીનની સંસ્કૃતિ વિકાસમાં તેનો મુખ્ય ફાળો રહેલો છે. તે વહેલો પરિપક્વ થતો હોઇ દુષ્કાળના સમયમાંથી છટકી જાય છે. તેની ઝડપી વૃદ્ધિ થતી હોઇ ટુંકા ગાળાના કેચ ક્રોપ તરીકે તેનું વાવેતર કરી શકાય છે. આ પાક વિવિધ પ્રકારની જમીનો અને ઉષ્ણતામાનમાં અનુકુલન સાધી શકે છે પરંતુ પાણીનો ભરાવો સહન કરી શકતો નથી.

() બંટી :

તેને અંગ્રેજીમાં Little millet કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ Panicum Sumatrense છે. તે દેખાવે ચીણા જેવો છે પરંતુ તેની કંટી અને દાણા નાના હોય છે અને તે હલકી જમીનોમાં કાળજી વિના થોડા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તેના ઉદ્દભવ અંગેના કોઇ પૂરાવા મળતા નથી પંરતુ ભારતની દરેક ભાષાઓમાં તેના નામો હોઇ તે ભારતનું વતની હશે તેમ મનાય છે. ભારત સિવાયના દેશોમાં તેની જંગલી જાતો જોવા મળતી નથી જે તે ભારતનું વતની હોવાનું સૂચવે છે. સમગ્ર ભારતમાં કુદરતી રીતે જ તેનું વાવેતર થાય છે. શ્રીલંકા અને પાડોશી દેશોમાં પણ તેનું વાવેતર થાય છે. તે ઝડપી વૃદ્ધિ પામતો, વહેલો પાકતો, અને વિકટ ખેત હવામાન પરિસ્થિતિ સામે ટકી શકે તેવો પાક છે.

() કોદરા :

તેને અંગ્રેજીમાં Kodo millet, Cow grass, Rice grass, Ditch millet, Native Paspalum yLku Crown grassકહે છે. તેનું વૈજ્ઞાનિક નામ Paspalum scrobiculatum છે. તે એક પ્રકારનું ૯૦ સે.મી. ઊંચુ થતું ઘાસ છે. તેના દાણા સખત અને તેના ઉપરનું ફોતરૂ દૂર કરવું મુશ્કેલ છે. તેનું ઉદ્દભવસ્થાન આફ્રિકાનો ઉષ્ણકટીબંધીય વિસ્તાર છે. ભારતમાં તેનું ૩૦૦૦ વર્ષ પહેલાંથી વાવેતર થયાનું મનાય છે.મોટા ભાગે તે ડાંગરના ખેતરોમાં નીંદણ તરીકે ઉગે છે. ઘણા ખેડૂતો પાક નિષ્ફળ જાય ત્યારે વૈકલ્પિક પાક તરીકે તેની કાપણી કરે છે. તે ૧૧ ટકાની આસપાસ પ્રોટીન ધરાવે છે જે કાંગ અને અન્ય ગૌણ ધાન્યની સરખામણીએ સારૂ છે.

() બ્રાઉન ટોપ મિલેટ (હરી કંગની) :        

તેને અંગ્રેજીમાં Brown top millet કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ Urochloa ramosa છે. તે ભારતનું વતની છે. તેનું વાવેતર કર્ણાટક અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં થાય છે. તે ભારતના બધા રાજ્યોમાં નીંદણ તરીકે જોવા મળે છે.દક્ષિણ ભારતના ડેક્કન વિસ્તારમાં તેનો ઘરેલુ ઉપયોગ થાય છે જ્યાંથી તેનો ભારતના અન્ય ભાગોમાં ફેલાવો થયો હોવાનું મનાય છે. ઇ.સ. પૂર્વે ત્રીજા સહસ્ત્રાબ્દી પહેલાં જંગલી છોડમાંથી દક્ષિણ ભારતમાં થતા પાકો સાથે આ પાકનો વિકાસ થયો છે તેવું પૂરાવા દર્શાવે છે. તે રેતાળ લોમ પ્રકારની ઓછી ફળદ્રુપ જમીનમાં થઇ શકે છે. તે ૬૦ થી ૮૦ દિવસે પાકે છે. તે ઓછા ખર્ચે થઇ શકે તેવો પાક છે. તેમાં નીંદામણ કરવાની જરૂર પડતી નથી અને તેમાં કોઇ રોગ કે જીવાતનો ગંભીર ઉપદ્રવ થતો નથી.

(8.3) મિલેટ ક્ષેત્રે ભારત અને વિશ્વ (Millets scenario – India and the world)

ભારત એ વિશ્વમાં મિલેટનો મોટો ઉત્પાદક દેશ છે. ભારતમાં મિલેટસનું વાવેતર ૨૧ જેટલા રાજ્યોમાં થાય છે. તેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરાલા, તેલંગણા, ઉત્તરાખંડ, ઝારખંડ, મધ્યપ્રદેશ, હરિયાણા અને ગુજરાતનો મુખ્ય ફાળો છે.

ભારતમાં મિલેટનું વાવેતર ૧૨૪.૫ લાખ હેકટરમાં થાય છે જેમાંથી ૧૫૫.૩ લાખ ટન મિલેટસનું ઉત્પાદન મળે છે જેની ઉત્પાદક્તા ૧૨૪૭ કિ.ગ્રા./હેકટર છે.જુવાર ૩૮.૪ લાખ હેકટર વિસ્તાર અને ૪૩.૧ લાખ મે.ટન ઉત્પાદન સહિત ભારતમાં ડાંગર, ઘઉં અને મકાઇ પછી ચોથા નંબરે આવતું અગત્યનું ધાન્ય છે. ૭૦.૫ લાખ હેકટર વિસ્તાર અને તેટલાજ ઉત્પાદન સાથે બાજરી એ ભારતમાં કુલ મિલેટ વિસ્તારના ૫૦ ટકાથી વધુ વિસ્તાર આવરી લે છે. વિશેષમાં ભારતમાં ૮૮.૭ લાખ હેકટર વિસ્તારમાંથી અંદાજે ૧૨૪.૬ લાખ મે. ટન ઉત્પાદન પેદા કરી વિશ્વમાં સામો (૯૯.૯) ટકા, રાગી (૫૩.૩૨ ટકા), કોદરા (૧૦૦ ટકા), બંટી (૧૦૦ ટકા) અને બાજરી (૪૪.૫ ટકા) માં પ્રથમ ક્રમાંકે છે.

ભારતમાં મિલેટસ હેઠળનો કુલ વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદક્તા (વર્ષ ૨૦૨૧-૨૨)

સ્ત્રોત : ફાયનલ એસ્ટીમેટસ ૨૦૨૧-૨૨,ડીઇએસ, ભારત સરકાર

ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (FAO) ના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૦ દરમ્યાન ૭૪૦ લાખ હેકટર વિસ્તારમાંથી ૮૯૧.૭ લાખ ટન મિલેટસનું ઉત્પાદન મળેલ હતું. વિશ્વમાં ૯૦ ટકાથી વધુ મિલેટસ ઉત્પાદન જુવાર અને બાજરીના વાવેતરમાંથી મેળવાય છે ત્યારબાદ બાકીના ૧૦ ટકામાં અનુક્રમે રાગી, કાંગ, ચીણો, સામો અને કોદરા વગેરે મિલેટસનો સમાવેશ થાય છે.

વિશેષમાં અંદાજે ૨૧૬૬ કિ.ગ્રા. /હેકટર ઉત્પાદન સાથે કાંગ બધા મિલેટમાં ઉત્પાદક્તાની દષ્ટિએ આગળ છે ત્યારબાદ અનુક્રમે રાગી (૧૬૨૩ કિ.ગ્રા./હે), ચીણો (૧૫૩૫ કિ.ગ્રા./હે), જુવાર (૧૪૨૬ કિ.ગ્રા./હે), સામો (૧૦૩૪ કિ.ગ્રા./હે), બાજરી (૮૫૦ કિ.ગ્રા./હે), બંટી (૪૬૯ કિ.ગ્રા./હે.) અને કોદરા (૪૧૯ કિ.ગ્રા./હે.) નો સમાવેશ થાય છે.

વિશ્વમાં કુલ મિલેટસના વાવેતરમાં ૬૫ ટકા વાવેતર જુવારના પાક હેઠળ આવેલ છે. સને ૨૦૧૦-૨૦૨૦ દરમ્યાન જુવારનો વાવેતર વિસ્તાર ૪૨૧.૬ લાખ હે.થી ૪૦૯.૮૦ હેકટરની વચ્ચે અને ઉત્પાદન ૬૦૧.૮ લાખ મે.ટન થી ૫૮૭ લાખ મે.ટનની આજુબાજુ  જોવા મળેલ હતું. આજ સમયગાળા દરમ્યાન અન્ય મિલેટસનો વિસ્તાર જે સને ૨૦૧૦ માં ૩૬૦ લાખ હેકટર હતો તે સને ૨૦૨૦ માં ઘટીને ૩૩૦.૨ લાખ હેકટર થવા પામેલ જ્યારે ઉત્પાદન જે સને ૨૦૧૦ માં ૩૨૭.૯ લાખ મે.ટન હતું જે ઘટીને સને ૨૦૨૦માં ૩૦૪.૬ લાખ મે.ટન થવા પામેલ.

આમ મિલેટસના વિસ્તારમાં થયેલ ઘટાડો જોતાં મિલેટસના વાવેતરમાં વધારો થાય તે માટે નીતિ વિષયક ટેકો આપી તેનું વાવેતર વધે તે માટે પ્રોત્સાહન આપવું જોઇએ તેમજ મિલેટના વિસ્તારમાં તેના પ્રોસેસિંગ ઉદ્યોગો શરૂ કરવા જોઇએ જેથી તેની માંગમાં વધારો થાય  અને ઉદ્યોગોને સતત પૂરવઠો મળી રહે.

(8.4) પોષણની દ્દ્રષ્ટિએ મિલેટસના ફાયદાઓ (Nutritional benefits of millets)

મિલેટના દાણા એ કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ખાદ્ય રેસા, સારી ગુણવત્તાવાળી ચરબી અને ઊંચી માત્રામાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, મેંગેનીઝ, ઝિન્ક અને વિટામિન બી કોમ્પ્લેક્ષ વગેરે પોષકતત્વોનો સમૃદ્ધ સ્ત્રોત છે જેથી ધાન્યોની પસંદગીમાં તેને પ્રાધાન્ય આપવામાં આવે છે.

મિલેટસ કેટલાક જૈવિક સક્રિય ફાયટાકેેમિકલ્સ જેવા કે ફેરાકસાન્સિ, લગ્નન્સ, ન્સબીટા-ગ્લુકેન, ઇનુલિન, રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ, સ્ટીરોલ્સ અને ફિનોિલક કમ્પાઉન્ડસ જેવા કે ફેરુલિક એસિડ, કેફિક અિસડ અને કેવેરસેટિન ધરાવે છે. વિવિધ અભ્યાસ મુજબ તેમાં રહેલ પોલીફીનોલ્સ એન્ટિઓક્સીડેન્ટ, કેન્સર વિરોધી, બળતરા વિરોધી અને જ્ઞાનતંત્રને રક્ષણ આપવાની પ્રવૃતિઓ કરે છે જેથી તે કેન્સર, રક્તવાહિનીના રોગો, ડાયાબીટીસ, લોહીનું ઊંચુ દબાણ, ઊંચો કોલેસ્ટીરોલ,બળતરા કરતા રોગો,ચયાપચયના રોગો અને ધ્રુજારીની બિમારી (પાિર્કન્સન્સ ડિસીઝ) વગેરેમાં લાભદાયક અસર કરતા માલૂમ પડેલ છે.

મિલેટ સૂક્ષ્મજીવ વિરોધી ગણાય છે અને તેમાં રહેલ ફાયટોકેમિકલને કારણે ડીએનએને થતા નુકસાન સામે રક્ષણ પુરૂ પાડે છે. મિલેટના દાણા ઊંચા પ્રમાણમાં ખાદ્ય રેસા અને સ્ટાર્ચ વિહિન પોલીસેેકેરાઇડસ ધરાવે છે જે વજનનું નિયમન  કરવામાં મદદ કરે છે. તે ગ્લુકોઝને  ધીરે ધીરે છૂટો પાડતું હોઇ મિલેટ એ ડાયાબિટીસના દરદી માટે ખોરાક તરીકેની ઉત્તમ પસંદ છે.

મિલેટ એ ધીરેથી પાચ્ય થતો સ્ટાર્ચ અને રેસાનો ઉત્તમ સ્ત્રોત છે કે જે લેકટોબેસિલસ એસિડોફિલસ, રહમ્નોસસ જીજી, એકિટનોબેકટેરીયા અને બિફિડો સ્પી. વગેરે પ્રકારના આંતરડામાં રહેલ બેકટેરીયા માટે સારા છે. મિલેટમાં ખાદ્ય રેસાની બનાવટમાં સ્ટાર્ચ વિહિન પોલીસેકેરાઇડસ હોય છે જે આથવણ થકી સોર્ટ-ચેઇન ફેટી એસિડસ પેદા કરે છે અને ઉત્તમ પ્રીબાયોટિક તરીકે કાર્ય કરે છે.

વિવિધ કલ્ચરનો ઉપયોગ કરી મિલેટમાં આથો લાવતાં તે ગ્રામ-નેગેટિવ બેકટેરિયાના વિકાસને ઉત્તેજન આપે છે જેના કારણે મિલેટમાંથી અસરકારક પ્રોબાયોટિક ખોરાક બનાવાય છે જે આંતરડા માટે સારો છે.

મિલેટ ઊંચા પ્રમાણમાં રેસા ધરાવતું હોઇ તેનો ગ્લાયસેમિક આંક ઓછો છે. ગ્લાયસેમિક આંકનો આધાર ખોરાકનો પ્રકાર, પ્રોસેસિંગ, પોષકતત્વનું પ્રમાણ,દાણા અથવા લોટ વગેરે ઉપર રહેલો છે. મોટા ભાગે મિલેટની બનાવટો ઓછો ગ્લાયસેમિક આંક ધરાવે છે.

આઇસીએમઆર (ICMR) અને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રિશન (NIN) ધ્વારા પ્રકાશિત તથા ગોપાલન તથા સાથીઓ (2004) ધ્વારા લેખિત ન્યુટ્રિટિવ વેલ્યૂ ઓફ ઇન્ડિયન ફૂડઝ એ દર્શાવેલ મિલેટના પોષકતત્વોની વીગત અત્રે દર્શાવેલ છે.

(૧) કેલ્શિયમ-રાગી (૩૬૪ મિ.ગ્રા.)

(૨) ચરબી (ફેટ)- બાજરી (૫.૪૩ ગ્રામ)

(૩) પ્રોટીન-ચીણો(૧૨.૫૦ ગ્રામ)

(૪) ખાદ્ય રેસા-બાજરી (૧૧.૪૯ ગ્રામ)

(૫) મેગ્નેશિયમ-ચીણો (૧૫૩ મિ.ગ્રા.)

(૬) ઝિન્ક-સામો (૩ મિ.ગ્રા.)

(૭) આયર્ન-બાજરી (૬.૪૨ મિ.ગ્રા), સામો (૫.મિ.ગ્રા.) (૮) ફોલિક એસિડ- કોદરા (૩૯.૪૯ માઇક્રોગ્રામ), જુવાર (૩૯.૪૨ માઇક્રોગ્રામ)

(8.5) ભારતમાં મિલેટસની ઉપયોગીતા (Utilization of millets in India)

() ફાર્મ સ્તરે :

આઇસીએઆર-આઇઆઇએમઆર (ICAR-IIMR) સંસ્થાએ મિલેટની ઉપયોગીતાના માળખા અંગે કરેલ અભ્યાસ મુજબ જુવારના કુલ ઉત્પાદનના ૭૫ ટકા ઉત્પાદનનો સીધો વપરાશ માનવીના ખોરાક તરીકે થાય છે જ્યારે ૧૨ ટકા જુવારનો ઉપયોગ પશુઓના ખોરાક તરીકે અને ૮ ટકા જુવારનો ઉપયોગ મૂલ્ય વર્ધિત બનાવટો બનાવવા માટે એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગુડઝ) કંપનીઓ કરે છે. પાંચ ટકા જુવારનો ઉપયોગ આલ્કોહોલના ઉત્પાદન માટે થાય છે. તેના દાણા અને મૂલ્ય વર્ધિત બનાવટોની નિકાસ કરવામાં આવે છે.

આજ પ્રમાણે ૬૯ ટકા બાજરીનો ઉપયોગ માનવીના આહારમાં જ્યારે ૧૫ ટકા બાજરીનો ઉપયોગ પશુ આહારમાં અને ૧૦ ટકા બાજરીનો ઉપયોગ બ્રુઅરીઓ ધ્વારા આલ્કોહોલ બનાવવા માટે થાય છે. ફક્ત પાંચ ટકા બાજરીનો ઉપયોગ પ્રોસેસિંગ ધ્વારા મૂલ્ય વર્ધન કરવા માટે અને એક ટકા બાજરીનો ઉપયોગ બિયારણ ઉત્પાદન કરવા માટે થાય છે.

વધુમાં જુવાર અને બાજરી કરતાં રાગીની ઉપયોગીતા સ્હેજ જુદી પડે છે. ફક્ત ૧૦ ટકા રાગીનો ઉપયોગ મૂલ્ય વર્ધિત બનાવટો બનાવવા માટે એફએસસીજી કંપનીઓ કરે છે. જુવારની માફક ૭૫ ટકા રાગીનો ઉપયોગ સીધો માનવીના ખોરાક તરીકે થાય છે. અંદાજે ૧૩ ટકા રાગીનો ઉપયોગ પશુ આહાર તરીકે થાય છે. ફક્ત એક ટકા રાગીની મર્યાદિત રીતે નિકાસ થાય છે.

() ઉદ્યોગ સ્તરે :

માનવીના ખોરાક ઉપરાંત ઘણા ઉદ્યોગોમાં મિલેટનો ઉપયોગ થાય છે.

() પશુઆહારમાં બદલાવ માટે :

પશુ આહારના ઉત્પાદનમાં અન્ય ધાન્યોની સરખામણીએ મકાઇ એ ઊર્જાના સસ્તા સ્ત્રોત તરીકે વપરાય છે. તે ચયાપચય બાદ ઊંચા પ્રમાણમાં ઊર્જા પુરી પાડે છે. મકાઇના ઉત્પાદનમાં થતો ઘટાડો તેનો પશુઆહારમાં વપરાશ ઉપર અસર પાડશે. વધુમાં ૫.૬ ટકાના દરે કમ્પાઉન્ડ ફીડનું ઉત્પાદન વધશે તે જોતાં મકાઇની માંગ માટે દબાણ ઊભું થશે. માંગમાં વધારો અને પુરવઠાની ખેંચ કિંમત ઉપર અસર કરશે અને સસ્તી આયાત કરવા પ્રોત્સાહિત કરશે. આ બાબત ધ્યાને લેતાં ભવિષ્યમાં બાજરી, જુવાર, રાગી વગેરે જેવા મિલેટનો ઉપયોગ તેના વિકલ્પ રૂપે કરવો પડશે. પરંપરાગત રીતે વપરાતા ઘઉં અને ચોખાની પ્રાપ્યતા તેના વધુ પડતા વપરાશને કારણે મર્યાદિત છે.

() ડિસ્ટીલરીઝ (આલ્કોહોલની ભઠ્ઠીઓ) :

ડિસ્ટીલરીઓ જુવારનો ઉપયોગ દારૂના ઉત્પાદન માટે કરે છે.સને ૨૦૧૦-૧૧ દરમ્યાન મોટા ભાગના મિલેટનો ઉપયોગ ખોરાક તરીકે અને થોડા પ્રમાણમાં પશુઆહાર તથા અન્ય વિભાગોમાં ઉપયોગ થતો હતો. માનવના આહાર તરીકે મિલેટનો સીધા વપરાશમાં સને ૨૦૧૯-૨૦ દરમ્યાન ૧૦૭.૨ લાખ મે.ટનનો ઘટાડો થવા પામ્યો.આ ઘટાડો સને ૨૦૧૦-૧૧ થી સને ૨૦૧૦-૨૦ દરમ્યાન ૨.૪૫ ટકા કમ્પાઉન્ડ વાર્ષિક વૃદ્ધિ દરથી થયેલ. આ ગ્રામ્ય વિસ્તારના લોકોના ખોરાકની ટેવમાં થયેલ બદલાવ દર્શાવે છે પરંતુ ભારતના ૫૦ ટકા શહેરી લોકો મિલેટની મૂલ્ય વર્ધિત બનાવટોનો ઉપયોગ કરે છે અને તે માટે ઇ-કોમર્સ કે ઓેનલાઇન સ્ટોર્સનો ઉપયોગ કરે છે.

આવનારા વર્ષોમાં શહેરી યુવાનોમાં આરોગ્ય અંગેની સભાનતામાં વધારો થતાં મિલેટનો સીધો ખોરાક તરીકેનો ઉપયોગ વધવા પામશે. વધુમાં ઘણા સ્ટાર્ટ-અપ્સ કે એફએમસીજી કંપનીઓ મિલેટ આધારિત ખોરાકની બનાવટો તૈયાર કરી મૂક્શે જે આવનાર વર્ષોમાં લોકોને આકર્ષશે. સને ૨૦૧૯-૨૦ થી ૨૦૨૨-૩૦ દરમ્યાન ૨૦.૦૧ ટકાના કમ્પાઉન્ડ વાર્ષિક વૃદ્ધિ દરે શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોના લોકોમાં મિલેટસ આધારિત બનાવટોની માંગ વધશે.

આવનાર દશ વર્ષમાં પશુઓ અને મરઘાં પક્ષીઓની વસ્તીમાં વધારો થશે જે પશુ આહાર માટે મકાઇ જેવા ધાન્યની માંગમાં વધારો કરશે. તેથી પશુ આહાર બનાવતી કંપનીઓએ મકાઇની આયાત કરવી પડશે જે કિંમતમાં મોંઘુ પડશે એટલે તેના બદલે દેશમાં થતા અન્ય ધાન્યોનો ઉપયોગ પશુ આહાર બનાવવામાં કરવો પડશે. પરંપરાગત રીતે ખોરાક તરીકે વપરાતા ઘઉં અને ચોખાની પ્રાપ્યતા પશુ આહાર માટે શંકાસ્પદ છે તેને ધ્યાને લેતાં મુખ્ય અને ગૌણ મિલેટનો ઉપયોગ મકાઇને બદલે કરવો પડશે.        

ભારત દેશ એ સને ૨૦૨૫ થી ૨૦૩૦ દરમ્યાન એટલે કે પાંચ વર્ષમાં પેટ્રોલ સાથે ૨૦ ટકા ઇથેનોલ ભેળવવાનું લક્ષાંક રાખેલ છે જે ઓઇલની ખર્ચાળ આયાત ઉપર કાપ મૂકશે. ભારત સરકાર મિલેટ સહિત વધારાના અનાજનો ઉપયોગ આ લક્ષાંકને પહોંચી વળવા કરશે. આ નીતિગત ફેરફારને કારણે સને ૨૦૧૯-૨૦ થી સને ૨૦૨૯-૩૦ દરમ્યાન ૭.૦૫ ટકાના કમ્પાઉન્ડ વાર્ષિક વૃદ્ધિ દરે મિલેટનો વપરાશ ડિસ્ટીલરીઓમાં કરવો પડશે.

(8.6) ભારતમાં મિલેટનું સંશોધન અને વિકાસ (Millets research and development in India)

()   ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મિલેટ રિસર્ચ (IIMR)નો ફાળો :

આઇસીએઆર સંચાલિત ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મિલેટ રિસર્ચ એ જુવાર, બાજરી અને ગૌણ મિલેટના મુળભૂત અને વ્યુહાત્મક સંશોધન સાથે સંકળાયેલી અગ્રણી સંસ્થા છે. આ સંસ્થાના મુખ્ય હેતુઓમાં મિલેટના વિસ્તાર, ઉત્પાદન, ઉત્પાદકતામાં વધારો કરવો, પાક સંરક્ષણના ઉપાયોમાં સુધારણા કરવી, તાલીમ, મિલેટ ઉત્પાદન અંગેની કન્સલટન્સી, તાંત્રિકતાનો ઉપયોગ અને પ્રસાર, મિલેટની ઉપયોગીતામાં વિવિધતા અને ખેડૂતોની નફાકારકતા વધે તેવા ઉપાયો વગેરેનો સમાવેશ થાય છે. દેશ કક્ષાએ જુવાર, બાજરી અને મિલેટના અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજનાઓ (ઓલ ઇન્ડિયા કો-ઓર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટસ) ધ્વારા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સંકલન કરી મિલેટના સંશોધન માટે સવલતો પુરી પાડે છે.

()   ઉત્પાદન અને વપરાશ વચ્ચેની ખાઇ પૂરવા માટે મિલેટ વેલ્યૂ ચેઇન :

ભારત અને આફ્રિકા મિલેટના વાવેતરમાં પ્રભુતા ધરાવે છે. આ દેશોમાં મિલેટની ઉત્પાદકતામાં સુધારો કરવો એ આધુનિક તાંત્રિકતાનો વિકાસ અને તેની પ્રાપ્યતા તથા ખેડૂતોને પુરા પાડવામાં આવતા ઇનપુટસ અને મિલેટના માર્કેટ ઉપર આધારિત છે. આ સંસ્થાએ સફળતા પૂર્વક મિલેટ વેલ્યૂ ચેઇન વિકસાવી મિલેટની માંગ પેદા કરી તેવા રાજ્યોમાં કર્ણાટક, તેલંગણા અને આધ્રપ્રદેશ રાજ્યોનો સમાવેશ થાય છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોની સરકારે મિલેટના વાવેતર અને વિસ્તાર વધારવા ઉપર ટેકો જાહેર કરેલ છે. ખેડૂતોના સમૂહના લાભાર્થે મિલેટના પ્રોસેસિંગ અને મૂલ્ય વર્ધન માટે નિષ્ણાતોની સેવાનું એક નેટવર્ક વિકસિત કરવામાં આવેલ છે જેનો ખેડૂતો, ખેડૂત ઉત્પાદક મંડળો (Farmer Producer Organizations (FPOs)  અને સ્વ સહાય જૂથો (Self Help Groups-SHGs) ઉપયોગ કરી શકે છે. આ સંસ્થા મિલેટના બિયારણની ચેઇનને મજબૂત કરવાનું, મૂલ્ય વર્ધનની તાંત્રિકતા પુરી પાડવાનું, ઓછા ખર્ચે અસરકારક પ્રોસેસિંગ કરવાની કામગીરી કરે છે.

()   મિલેટમાં પ્રોસેસિંગ/મૂલ્ય વર્ધન :

અનુકુળ આબોહવામાં પાક થતો હોવા છતાં છેલ્લા દસકાઓમાં ઊંચા પોષકતત્વો ધરાવતા મિલેટના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે. તેનું એક કારણ મુખ્ય ધાન્યપાકોની જેમ ગ્રાહકો માટે રેડી-ટુ-કૂક (RTC) અને  રેડી-ટુ-ઇટ (RTE)  પોડકટસ બનાવવા માટેની અનુકુળ પ્રોસેસિંગ તાંત્રિકતા અને મશીનરી ઉપલબ્ધ નથી તે છે. તાજેતરના વર્ષોમાં મિલેટમાં પ્રોસેસિંગ અને મૂલ્ય વર્ધન પ્રોડકટસની આવરદા વધારવી અને ચોખા તથા ઘઉંને બદલે મિલેટના વપરાશ બાબતે સંશોધનની ગેરહાજરી પણ મુખ્ય કારણ છે. બેકરીની બનાવટો માટે મિલેટમાં ગ્લુટેનની ખામી હોઇ મર્યાદિત ઉપયોગ કરી સકાય છે. તેની ગંધ અને સખત બાંધાને કારણે ચોખાને બદલે મિલેટનો ઉપયોગ થતો નથી.

()   મિલેટમાં પ્રીપ્રોસેસિંગ :

મોટે ભાગે પરંપરાગત રીતે મિલેટની કાપણી કરવામાં આવે છે. આથી તેમાં અપકવ દાણા, ચીકણી માટી, પથ્થર, કાંકરા, ધૂળ અને અપ્રિય વસ્તુઓ ભળે છે. આ માટે ડીસ્ટોનર, ગ્રેડર અને એસ્પિરેટર પદ્ધતિ મિલેટ માટે પ્રાપ્ય છે. તેનો મિલેટ પ્રોસેસરોએ અસરકારક રીતે ઉપયોગ કરવો જોઇએ.

()   પ્રાથમિક પ્રોસેસિંગ :

પ્રાથમિક પ્રોસેસિંગ એ મિલેટને ખાવાલાયક બનાવવા, તેની ગુણવત્તા વધારવા અને ગ્રાહક માટે સ્વીકાર્ય બનાવવા માટેનું અગત્યનું પગલું છે. વિવિધ મિલેટમાં જુવાર બાજરી અને રાગી એ નેક્ડ ગ્રેઇન હોઇ તેના દાણા જલદીથી જુદા પડી જાય છે જ્યારે કેટલાક પરંગપરાગ રીતે વવાતી જાતોમાં દાણા છૂટા  પાડવા માટે હળવા ઘર્ષણની જરૂર પડે છે.

જ્યારે બીજી બાજુ બંટી, ચીણો, કોદરા, સામો, બ્રાઉન ટોપ (હરી કંગની) અને કાંગ વગેરેના દાણા ઉપર અખાદ્ય ફોતરૂ હોવાથી તેને દૂર કરવાની જરૂર પડે છે. સામો, બંટી, બ્રાઉનટોપ અને કોદરા વગેરે મિલેટમાં એક કરતાં વધુ તબક્કે જ્યારે કાંગ અને ચીણામાં ફ્ક્ત એક તબક્કે ફોતરૂ દૂર કરી શકાય તેવું હોય છે. જાપાન અને હોંગકોંગ એ નાના પાયા પર મિલેટ મિલિંગ મશીનરી વિકસાવી છે જે આપણા દેશમાં ખ્યાતિ પામેલ છે. હાલમાં એક કલાકે બે ટન મિલેટનું મિલિંગ કરવાની ક્ષમતા ધરાવતી મશીનરી પ્રાપ્ય છે. મોટા જથ્થામાં પ્રોસેસિંગ કરવા માટે વધુ ક્ષમતા ધરાવતી મશીનરીની જરૂરિયાત છે. બહુરાષ્ટ્રીય કંપનીએ જેવી કે બુહલેર જૂથ પાસે ઊંચી ક્ષમતા ધરાવતી મશીનરી પ્રાપ્ય છે પરંતુ તે કિંમતમાં મોંઘી હોઇ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે અવ્યવહારૂ છે.

(૬) ગૌણ પ્રોસેસિંગ અને પ્રોડક્ટસનો વિકાસ :

તેમાં પ્રાથમિક રીતે પ્રોસેસ કરેલ મિલેટના કાચા માલને વિવિધ પ્રકારની રેડી-ટુ-ઇટ અને રેડી-ટુ-કૂક પ્રોડક્ટસ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે. મિલેટના દાણાની ઉપરનું પડ કે ફોતરી દૂર કર્યા બાદ તેનો ભાતની જેમ રાંધીને આહારમાં ઉપયોગ થાય છે. તેને દળીને લોટ, સોજી વગેરે બનાવી ઘઉં કે ચોખાની જેમ રોટલી અને અન્ય ખાદ્ય બનાવટો બનાવવામાં આવે છે. કેટલીક સંશોધન અને વિકાસ સાથે સંકળાયેલ સંસ્થાઓ જેવી કે આઇઆઇએમઆર ધ્વારા મિલેટના મૂલ્ય વર્ધન માટેની વિવિધ તાંત્રિકતાઓ વિકસાવી છે જેવી કે પફિંગ, બેંકિગ્, પોપિંગ, ફ્લેકિંગ, કોલ્ડ એન્ડ હોટ એકક્ષ્ટ્રુજન, એક્ષપાન્ડેડ મિલેટ, ઇન્સ્ટન્ટ/કન્વેનીયન્સ ફૂડ વગેરે. આવી તાંત્રિકતાઓને કારણે મિલેટની બનાવટોના સ્વાદમાં વધારો, આહાર લેવામાં સગવડતા અને પોષણ ગુણવત્તામાં વધારો થવા પામેલ છે. મિલેટ આધારિત રેડી-ટુ-ઇટ ખોરાકમાં પફ, ફલેકસ,મ્યુસલી, એક્ષ્ટ્રુડેડ સ્નેક્સ, કૂકીજ, ચકરી વગેરે અને રેડી-ટુ-કૂક ખોરાકમાં વર્મિસેલી, પાસ્તા, મિલેટ સોજી, ઇન્સ્ટન્ટ મિક્ષ તેમજ મિલેટ વત્તા દૂધ આધારિત પીણા (બેવરેજીસ) વિકસાવવામાં આવેલ છે.

પ્રોસેસિંગ દરમ્યાન મિલેટના કેટલાક પોષકતત્વોનો નાશ થઇ શકે છે. આ સમસ્યાને નિવારવા કૂકીજ, વર્મીસેલી, પાસ્તા, ખીચડી મિકસ અને બ્રેડ જેવી ફોર્ટીફાઇડ પ્રોડક્ટસ વિકસાવવામાં આવી છે જેમાં કુદરતી પોષકતત્વોથી સમૃદ્ધ તત્વો ધરાવતા આયર્નથી સમૃદ્ધ અસાળીયો (ગાર્ડન ક્રેસ), ઝિંકથી સમૃદ્ધ તલ (જીંજલી સીડ), આયર્નથી સમૃદ્ધ પાલકની ભાજી (Spinach) વગેરે ઉમેરવામાં આવે છે જેથી આયર્ન, ઝિન્ક જેવા તત્વોના પ્રમાણમાં વધારો થવા પામે છે. સ્ફ્રુ, માલ્ટિંગ, ગરમીની પ્રક્રિયા, ભીજવવું, આથવણ વગેરે વિવિધ રીતો ધ્વારા  મિલેટમાં રહેલ પોષકતત્વોનો ઘટાડો અટકાવી શકાય છે અને શરીર માટે જોઇતા સૂક્ષ્મતત્વોમાં વધારો અને ફાયટેટ જેવા પ્રતિપોષક દ્રવ્યોમાં ઘટાડો કરી શકાય છે. અગ્રણી સંસ્થાઓ અને સ્ટાર્ટ-અપ્સ ધ્વારા નવીન પ્રકારના ખોરાક (નોવેલ ફૂડ) વિકસાવવામાં આવેલ છે જેવા કે છોડ આધારિત વેગન પ્રોટીન, એકસપ્રેસ ફૂડઝ, ઓનાલોગ રાઇસ, ન્યુટ્રાશ્યૂટિક્લ અને ફંકશનલ ફૂડઝ વગેરે. સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (CFTRI), નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફૂડ ટેકનોલોજી એન્ટરપ્રીન્યુઅરશિપ એન્ડ મેનેજમેન્ટ (NIFTEM), ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી(IIFPT), રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ અને ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ફોર ધી સેમી એરિડ ટ્રોપિકસ (ICRISAT) નામની સંસ્થાઓ પણ મિલેટમાં મૂલ્ય વર્ધન માટેની કામગીરી કરે છે. આ ઉપરાંત બ્રિટાનીયા, આઇટીસી જેવી ખાનગી કંપનીઓ પણ પોતાની રીતે સંશોધન અને વિકાસ ધ્વારા નોવેલ તાંત્રિકતાઓ વિકસાવવાના પ્રયાસો કરે છે.

(૭) મિલેટ આધારિત બનાવટોની આવરદા :

કોઇપણ મિલેટનો લોટ અંદાજે ૧ થી ૨ મહિના સુધી સારી રીતે રહી શકે છે જ્યારે બાજરીમાં મુક્ત ચરબી અને સુગર હોઇ તે જલ્દી ખોરો થઇ જતો હોેઇ ફક્ત  ૫ થી ૭ દિવસ બાજરીનો લોટ સારો રહી શકે છે. મિલેટમાં પારબોઇલિંગ, ઇરેડિયેશન અને જર્મિનેશન જેવી તાંત્રિક્તાઓનો ઉપયોગ કરી વિવિધ મૂલ્ય વર્ધિત બનાવટો બનાવવામાં આવે તો તેની આવરદા ૬ થી ૧૨ મહિના વધી શકે છે. આઇઆઇએમઆર, સીએફટીઆરઆઇ જેવી સંસ્થાઓ ધ્વારા મિલેટની બનાવટોમાં લાયપેઝને અક્રિય બનાવવાની, કુદરતી અને માન્ય એન્ટિઓક્સીડેન્ટસનો ઉપયોગ કરવાની અને અનુકુળ પેકેજિંગ અપનાવવાની વગેરે ધ્વારા મિલેટની આવરદા વધારવા માટેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે.

સામાન્ય રીતે ધાન્યની આવરદા ૧૦ થી ૧૨ ટકા ભેજ સાથે અંદાજે ૬ થી ૮ મહિનાની હોય છે. તેમાં પ્રોસેસિંગ બાદ મેળવેલ બનાવટ ખાસ કરીને લોટની આવરદામાં ઘટાડો એ એક મોટો પડકાર છે. જો કે કેટલાક સ્ટાર્ટ-અપ્સ એ લોટની આવરદા છ માસની કરેલ છે. અન્ય રેડી-ટુ-ઇટ અને રેડી-ટુ-કૂકની બનાવટો પણ ૬ થી ૮ માસની આવરદા પુરી પાડે છે. ઇરેડિયેશન તાંત્રિકતા અને યોગ્ય પેકેજિંગ પણ આવરદામાં વધારો કરે છે. જો કે ભારતના લોકોમાં આ રીતે વેચાણ કરવું સહેલું નથી. બાજરી કે જે પાંચ ટકાથી વધુ ફેટ ધરાવે છે તેમાં ખોરાશનો મોટો પડકાર છે. પ્રોસેસ્ડ ફૂડ પ્રોડટક્સની નિકાસ માટે તેની આવરદા વધારવા માટેના સંશોધન અને વિકાસ અંગેના નોંધપાત્ર પ્રયાસો NIFTEM, ICAR-IIMR, CSIR-CFTRI વગેરે સંસ્થાઓએ કરવાની ખાસ જરૂર છે.

(૮) બાયોફોર્ટિફાઇડ જાતો :

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય કક્ષાએ સંકલન કરી બાજરીની આઠ, રાગીની ત્રણ અને સ્મોલ મિલેટની એક એમ કુલ ૧૨ જાતો વિકસાવવામાં આવી છે. તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીએ ફૂડ એન્ડ એગ્રિક્લચરલ ઓર્ગેનાઇઝેશન (FAO) અને યુ.એન.ની ૭૫ મી વર્ષગાંઠે બે મિલેટ પાકની ત્રણ બાયોફોર્ટિફાઇડ જાતો અર્પણ કરી છે. રાગીની જાતોમાં સીએફએમવી-૧ અને ૨ (CFMV-1&2) એ કેલ્શિયમ, આયર્ન અને ઝિન્કથી સમૃદ્ધ છે અને સ્મોલ મિલેટની સીસીએમએલવી-૧ (CCMLV-1)  જાત આયર્ન અને ઝિન્કથી સમૃદ્ધ છે.

આવી બાયોફોર્ટિફાઇડ જાતોનો પ્રચાર અને પ્રસાર કરવા માટે ખાસ પ્રયત્નો કરવા જરૂરી છે.આવી બાયોફોર્ટિફાઇડ જાતોના ગુણવત્તા યુક્ત બિયારણ પેદા કરી વેપારી ધોરણે ખેતી માટે ખેડૂતોને ઉપલબ્ધ કરાવવા જોઇએ. આઇસીએઆરના વિસ્તરણ વિભાગ ધ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે બે ખાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

(૧)    ન્યુટ્રિસેન્સિટિવ એગ્રિકલ્ચરલ રિસોર્સીસ એન્ડ ઇનોવેશન્સ (NARI- Nutrisensitive Agricultural Resources and Innovantions)

(૨)    વેલ્યૂ એડિશન ટેકનોલોજી ઇનક્યુબેશન્સ સેન્ટર્સ ઇન એગ્રિકલ્ચર (VATICA- Value Addition Technology Incubations Centres In Agriculture)

બાયોફોર્ટિફાઇડ પાકોનું વેપારી ધોરણે વાવેતર માટેના કાર્યક્રમો ધી ગ્લોબલ એલાયન્સ ફોર ઇમ્પ્રુCS ન્યુટ્રિશન (The Global Alliance for Improved Nutrition-GAIN) અને હાર્વેસ્ટપ્લસ (HarvestPlus)ના સંયુક્ત સાહસથી શરૂ કરવામાં આવ્યા છે કે જેથી વિવિધ દેશોના ઓછી અને મધ્યમ આવક ધરાવતા ૨૦૦ કરોડ લોકો કે જે પોતાના દૈનિક આહારમાં વિટામિનો અને ખનીજો મેળવી શક્તા નથી તેઓને તેની પૂર્તિ કરી શકાય. આ છૂપી ભૂખ (હિડન હંગર – Hidden hunger) લોકોમાં ખાસ કરીને બાળકો અને મહિલાઓમાં આરોગ્યની ગંભીર સમસ્યાઓ પેદા કરે છે જેવી કે વાંકાપણું,અંધાપો, મગજનો નબળો વિકાસ, નબળી રોગપ્રતિકારક શક્તિ, એનીમિયા વગેરે. ભારતમાં પાંચ વર્ષથી નીચેની વય ધરાવતા બાળકોમાં કુપોષણનો દર વિશ્વમાં સૌથી વધુ છે. ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ (૨૦૧૮) માં જણાવ્યા મુજબ પાંચ વર્ષથી નીચેના વયના ૩૮ ટકા બાળકો ઠીંગણા અને ૨૧ ટકા બાળકો વધુ પડતા પાતળા છે. પાંચ વર્ષથી નીચેની વયના ૫૮ ટકા ભારતીય બાળકોમાં આયર્નની ઉણપ જોવા મળે છે. વિશેષમાં રિપોર્ટમાં જણાવ્યા મુજબ એશિયન અને આફ્રિકન દેશોને આ ઉણપ અને કુપોષણથી વાર્ષિક જીડીપી (Gross Domestic Product) માં સરેરાશ ૧૧ ટકાની ખોટ જાય છે.

() મિલેટ પ્રોડક્સની ટેકનોલોજીનું વ્યાપારીકરણઃ

છેલ્લા દશ વર્ષમાં મિલેટ પ્રોડક્ટસનું વ્યાપારીકરણ જોવા મળેલ નથી. આઇઆઇએમઆર સંસ્થાએ ચકાસણી કરતાં બજારમાં મિલેટ આધારિત બનાવટો જોવા મળેલ નથી પરંતુ તે લેબોરેટરીમાં હતી. અસંગઠિત ક્ષેત્રે અને વેલ્યૂ ચેઇન ન હોવાને કારણે મિલેટની માંગ નથી અને ગ્રાહકને મિલેટ આધારિત બનાવટો કે તેની શક્યતાઓની ખબર નથી.

આઇઆઇએમઆર સંસ્થાએ ગ્રાહકો માટે પ્રથમ વાર મિલેટની બ્રાન્ડ રજૂ કરી કે જેથી ઉદ્યોગસાહસિકો તે બનાવવા માટે આકર્ષાય આ બ્રાન્ડનું નામ ઇટરાઇટ (Eatrite) અને તેની ટેગ લાઇન ઇટ મિલેટસ-સ્ટે હેલ્ધી (Eat Millets-Stay Heathy)  રાખ્યુ હતું જેને સારી સફળતા મળેલ. આજે માર્કેટમાં ૩૨ જેટલી મૂલ્ય વર્ધિત બનાવટો ઉપલબ્ધ છે અને તેની પ્રેરણા લઇ આજે દેશમાં ૪૦૦ જેટલી મિલેટ બ્રાન્ડ અસ્તિત્વમાં છે.

(૧૦) પ્રોડક્ટસની જાણકારી, પ્રચાર અને પ્રસાર :

પહેલા એવું કહેવાતું કે મિલેટ એ ગરીબોનો ખોરાક છે. મિલેટમાં ઊંચા પોષકતત્વો હોવા છતાં ઘણા દસકાઓથી તેનું ગરીબોના મુખ્ય ખોરાક તરીકે વાવેતર કરવામાં આવતું હતું અને તેનો ઘરેલું વપરાશ ગરીબો પોતાના ખોરાક તરીકે કરતા હતા.ઘણા દસકાઓના પ્રયાસો અને કોવિડ-૧૯ જેવી મહામારી જેવી પરિસ્થિતિને કારણે ધાન્યોના વિકલ્પ તરીકે આરોગ્ય અને પોષણની રીતે મિલેટનું મહત્વ સમજાતાં લોકો તેનો વધુ ઉપયોગ કરતા થયા છે. જીવનશૈલીમાં ફેરફાર થતાં છૂપી ભૂખ (હિડન હંગર) જેવા રોગો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જોવા મળે છે જેના નિવારણ માટે ખોરાકમાં મિલેટનો ઉપયોગ કરવો જરૂરી છે. પોષણ અને આરોગ્યની દષ્ટિએ મિલેટ પંસદગી યુક્ત સારો ખોરાક છે તેવી લોકોમાં જાણકારી પ્રસરે તેવી વ્યૂહરચના અપનાવવી જોઇએ. આ માટેની જાણકારી પુરી પાડવામાં ફ્ક્ત ઘણી ઓછી સંશોધન અને વિકાસ સાથે સંકળાયેલ સંસ્થાઓ, સ્વૈચ્છિક સસ્થાઓ અને રાજ્ય સરકાર સંકળાયેલી છે જે પણ એક પડકારજનક બાબત છે.

(૧૧) તાલીમ અને ક્ષમતા નિર્માણ :                        

મિલેટની ખેતી, ખેતર ઉપર પ્રોસેસિંગ, મૂલ્ય વર્ધન, વ્યાપારીકણ વગેરે દરેક તબક્કે તાલીમ અને ક્ષમતા નિર્માણ કરવાની જરૂરિયાત છે. વર્તમાનમાં કેટલીક સંસ્થાઓ ખેડૂતો અને મહિલાઓને ખેતી અંગેની વિવિધ તાલીમો આપે છે. લોકોને મિલેટની વિવિધ પ્રોડક્ટની તાંત્રિકતા અને રેસીપી અંગેની તાલીમ આપવાના મર્યાદિત પ્રયાસો કરવામાં આવે છે. આઇઆઇએમઆર એ નોડલ સંસ્થા હોઇ ઓરિસ્સા, કર્ણાટક, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોની મહિલાઓ/આદિવાસીઓ વગેરે માટે મૂલ્ય વર્ધનના તાલીમ કાર્યક્રમ ઉપરાંત મિલેટ કૂકિંગ, ઉદ્યોગસાહસિકતાની તકો વગેરે કાર્યક્રમો પણ ગોઠવેલ છે અને તેનો જાહેરમાં પ્રચાર કરેલ છે. તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ (MOFPI) એ પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ સ્કીમ (Pradhan Mantri Fomalisation of Micro Food Processing Entreprises Scheme-PMFME) હેઠળ વન ડિસ્ટ્રીકટ વન પ્રોડકટ (One District One Product-ODOP) કાર્યક્રમ શરૂ કરેલ છે જ્યાં તાલીમ અને વિવિધ બનાવટોનું આયોજન કરવામાં આવે છે.રાજ્ય સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ કે અન્ય સંસ્થાઓ ધ્વારા વિવિધ પ્રોડક્ટ ઉપર હિસ્સેદારોની મર્યાદિત કુશળતા હોઇ કેન્દ્રિય ધોરણે નવીન તાંત્રિકતાઓ અને તાલીમ અંગેનું કોઇ માળખુ નથી  એ પણ આ ક્ષેત્રે એક પડકાર જનક બાબત છે.

(8.7) મિલેટ ક્ષેત્રે રહેલ વિવિધ પડકારો (Challenges in millet sector)

વિશ્વમાં મિલેટનો મુખ્ય ખોરાક તરીકે ઉપયોગ કરવામાં તેના ઉત્પાદન, પ્રોસેસિંગ, મૂલ્ય વર્ધન, માર્કેટિંગ અને વપરાશ બાબતે અનેક પડકારોનો સામનો મિલેટ ક્ષેત્ર કરી રહ્યુ છે. મિલેટના પ્રોસેસિંગ અને મૂલ્ય વર્ધન માટેના કેટલાક ચાવી રૂપ પડકારો અત્રે દર્શાવેલ છે.

() મિલેટ ઉત્પાદન માટેના પડકારો :

() મિલેટની ઓછી ઉત્પાદકતા :

દેશમાં ઘઉં, ડાંગર અને મકાઇની સરખામણીએ મિલેટની ઉત્પાદક્તા ઓછી છે. તેનું કારણ સીમાંત જમીનોમાં સૂકી ખેતી હેઠળ મિલેટની ખેતી થાય છે અને તેમાં સુધારેલી જાતો અપનાવવામાં આવતી નથી. તેના ઉત્પાદનમાં રહેલ તફાવત ખેડૂતો ધ્વારા અપનાવવામાં આવતી તાંત્રિકતાને કારણે છે જેમાં સુધારણા કરવાની ખાસ જરૂર છે. સને ૨૦૦૯ થી ૨૦૧૪ દરમ્યાન દેશના સરેરાશ ઉત્પાદનમાં રવી જુવારમાં ૫૮ ટકા, ખરીફ જુવારમાં ૧૫૧ ટકા, બાજરીમાં ૬૨ ટકા, રાગીમાં ૧૮૩ ટકા અને ગૌૈણ મિલેટમાં ૧૫૬ ટકા તફાવત જોવા મળેલ છે.

() જીવાતો અને રોગો સામે પ્રતિકારક :

મિલેટમાં ઓછામાં ઓછી જીવાતો અને રોગોનો ઉપદ્રવ જોવા મળે છે તેમ છતાં ઘણીવાર જુવારમાં સાંઠાની માખી, ગાભમારાની  ઇયળ, ગ્રેઇન મોલ્ડ, બાજરીમાં તળછારો અને સૂકારો (બ્લાસ્ટ) થી નોંધપાત્ર નુકસાન જોવા મળે છે. આવી જીવાતો અને રોગો સામે પ્રતિકાર કરી શકે તેવી જાતો પ્રાપ્ય નથી તેમજ ખેતીકીય અને રાસાયણિક પદ્ધતિઓ પણ મર્યાદિત છે.

() બિન પરંપરાગત વિસ્તારોમાં ફેલાવો :

મિલેટનું ઉત્પાદન વધારવા માટે વાવેતર હેઠળના વિસ્તારમાં વધારો કરવો એ પણ એક મહત્ત્વની બાબત છે. ખાસ કરીને પડતર અને ખરાબાની જમીન તથા બિન પરંપરાગત વિસ્તાર કે જે ઊંચા વળતર આપતા પાકો સાથે હરિફાઇ કરી શકે નહીં ત્યાં મિલેટનું વાવેતર કરવું જોઇએ.

() પ્રોડકટ માટેની ચોક્કસ જાતો :

મિલેટ ઉગાડતા મુખ્ય વિસ્તારોમાં ભૌમિતિક અને પોષણ મૂલ્યાંકનની દષ્ટિએ કેટલીક જાતો પ્રાપ્ય છે જેનું જરૂરી ગુણવત્તાયુક્ત બનાવટ માટે યોગ્ય મેપિંગ કરવું જરૂરી છે. મોટા પ્રોસેસરોએ  સારી ગુણવત્તા અને મૂલ્ય વર્ધન માટેની ગણતરી કરવી જોઇએ.

() બીજ કેન્દ્ર(સીડ હબ) અને સંવર્ધક બીજ (બ્રીડર સીડ) નું ઉત્પાદન :

મિલેટમાં વિવિધ પ્રોડક્ટ માટેની ચોક્કસ જાતો શોધવાની તથા તેનું સંવર્ધન કરી બિયારણ પેદા કરવા માટે તેના બીજ કેન્દ્રો સ્થાપવાની ખાસ જરૂરિયાત છે. તો જ મિલેટની માંગ વધતાં ઉત્પાદનમાં વધારો થઇ શકે. તેના બિયારણ માટે કેન્દ્રો શરૂ કરવામાં આવે તો ખેડૂતોમાં ગુણવત્તાયુક્ત બિયારણ વહેંચી મિલેટમાં વધુ ઉત્પાદન મેળવી શકાય.

() મિલેટ પ્રોસેસિંગ માટેના પડકારો :

(૧) હાલમાં જે મશીનરી વપરાય છે તે પ્રોસેસિંગમાં ૭૦ થી ૮૦ ટકા રીકવરી આપે છે એટલે કે તેની અસરકારકતા ઓછી છે.

(૨) દરેક પ્રકારના મિલેટ માટે એક જાતનું ડીહલર યુનિટ વાપરવું અનુકુળ નથી કારણકે જે તે મિલેટના કદ, આકાર, હસ્કનું પ્રમાણ અને પ્રકૃતિ જુદી જુદી હોય છે.

(૩) મિલેટના ફોતરાને જુદુ પાડવું એ કંટાળાજનક કાર્ય છે અને કેટલીકવાર તે ફાયનલ પ્રોડક્ટ સાથે ભળે છે.

(૪)  ઇમ્પેલરની સ્પીડ મિલેટની ડી-હલિંગ અસરકારકતા ઉપર અસર કરે છે એટલે મશીનની સ્પીડ ઉપર નિયંત્રણ કરવું જરૂરી છે.

(૫) મિલેટમાં ગ્લુટેનની ખામી, હાઇડ્રો થર્મલ માવજત ધ્વારા સ્ટાર્ચનું જીલેટીનાઇઝેશન, એક્સ્ટ્રુજન વગેરે કારણોસર મૂલ્ય વર્ધન કરવા માટે વૈવિધ્યકરણ કરવું જરૂરી છે પરંતુ બ્રેડ, બન વગેરે બનાવટો ૧૦૦ ટકા મિલેટમાંથી બનાવવી એ આજે પણ એક પડકારજનક બાબત છે.

(૬) વિવિધ પ્રોસેસિંગ તાંત્રિક્તાની પોષણ લાક્ષણિક્તાઓ ઉપર અસર અંગેની આંકડાકીય માહિતી તથા પોષકતત્વોની પ્રાપ્યતામાં વધારો  કરે અને પોષણ વિરોધી પદાર્થોમાં ઘટાડો કરે તેવી ઉત્તમ પ્રકારની પ્રોસેસિંગ તાંત્રિકતાના માળખાની ખામી છે.

(૭) મિલેટમાં રહેલ ઔષધિય ફાયદાઓને ધ્યાને લઇ મિલેટમાંથી પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક ફૂડ બનાવવા જોઇએ.

() નીતિ વિષયક પડકારો :

(૧) ગ્રાહકના સ્વાદ અને પસંદગીમાં ફેરફાર :

ઘણા દસકાઓથી ગ્રાહકની પસંદગી સ્વાદ ઉપર આધારિત થઇ છે. પશ્ચિમની સંસ્કૃતિની અસર થતાં પ્રદર્શિત થતા રેડી-ટુ-ઇટ (RTE) ખોરાકનો વપરાશ વધ્યો છે. મિલેટ એ ગરીબોનો ખોરાક છે તેવી માન્યતા છે.

(૨) રાહત ભાવે અન્ય ધાન્યોની પ્રાપ્યતા :  

જાહેર વિતરણ (PDS), મોબાઇલ ડીવાઇસ મેનેજમેન્ટ (MDM),મહિલા અને બાળ વિકાસ (WCD) અને અન્ય જાહેર ભંડોળ પોષણ કાર્યક્રમો હેઠળ ચોખા અને ઘઉં જેવા ધાન્યોને રાહત દરે લોકોને પુરા પાડવામાં આવે છે.

(૩) મિલેટની ખેતીમાં સુધારણા માટે સંશોધનના અપુરતા પ્રયાસો :

ચોખા, ઘઉં વગેરે ધાન્યપાકોની સુધારણા માટે વધુ સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે મિલેટના સંશોધન અને વિકાસ જેમ કે સુધારેલી જાતો, ઉત્પાદકતા, પ્રોસેસિંગ ટેકનોલોજીમાં વૈવિધ્યકરણ અને માર્કેટિંગ ઉપર પુરતુ મહત્ત્વ આપવામાં આવતું નથી.

(૪) ઓછી નફાકારકરતા અને વ્યાપારીકરણની ખામીને લીધે મિલેટ ઓછો વળતરદાયી પાક છે. જેનું કારણ તેનું ઓછુ ઉત્પાદન અને ભાવ પણ ઓછા મળે તે છે તેમજ તેની ગુણવત્તા ઉપર પર્યાવરણીય પરિબળોની અસર થાય છે જેમ કે ખરીફ જુવાર.

(૫) મિલેટની પ્રોસેસિંગ મશીનરી અને પ્રોસેસિંગ તાંત્રિકતામાં વૈવિધ્યકરણની ખામી છે. ખાસ કરીને ગૌણ મિલેટમાં પ્રોસેસિંગ જટીલ છે.

(૬) ગૌણ મિલેટ માટે ઓછામાં ઓછા ટેકા રૂપ ભાવો (MSP) ની ખામી છે જેથી તેના વિસ્તાર, ઉત્પાદન અને પૂરવઠા ઉપર અસર થાય છે.

(૭) વિવિધ સંસ્થાઓ અને સરકારને મિલેટના મહત્ત્વ વિષેની જાણકારીની માહિતી ન હોવાથી તેને પ્રોત્સાહન આપવામાં આવતું નથી.

() નિયમનકારી પડકારો :

(૧) મિલેટ આધારિત પ્રોડક્ટસનો સ્ટાન્ડર્ડ ફૂડઝમાં સમાવેશ કરવામાં આવેલ નથી તેથી મંજૂરી માટે તેની પ્રોસેસ કરવી પડે છે એટલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) તેને નવીન ઉત્પાદન ગણે છે અને તેના ધોરણો નક્કી કરે છે.

(૨) મિલેટ આધારિત બનાવટોની નિકાસ માટે ગુણવત્તાના ધોરણો અને પ્રમાણન એ એક મુખ્ય ખામી છે. આ માટે FSSAI ની મંજૂરી જરૂરી છે.

(૩) નિકાસ અંગેની નીતિ અંગેના જ્ઞાનની ખામી અને વિવિધ દેશોના માર્કેટની સમજ હોતી નથી.        

ઉપરોક્ત પડકારોને પહોંચી વળવા માટે મિલેટની ઉત્પાદન તાંત્રિક્તામાં વૈવિધ્યકરણ, વિવિધ સંસ્થાઓ સાથે જોડાણ, સ્ટાર્ટ-અપ શરૂ કરવા અને દરેકના ખોરાકમાં મિલેટનો ઉપયોગ થાય તેવા ઘનિષ્ટ પ્રયાસો કરવાની જરૂર છે. આ માટે ભારત અને ભારતની બહાર મિલેટનો પ્રસાર કરવા માટે સરકારે ક્રમબદ્ધ પગલાંઓ ભરવાની જરૂર છે.

(8.8) મિલેટના પ્રોત્સાહન માટે સરકારનો ફાળો (Role of government in millet promotion)

ભારત સરકારને પોષણની સલામતી માટે મિલેટસનું મહત્ત્વ સમજાયેલ હોઇ દેશમાં મિલેટને ન્યુટ્રિ-સીરીયલ્સ (પોષક અનાજ) તરીકે જાહેર કરી સને ૨૦૧૮ ના વર્ષને “નેશનલ ઇયર ઓફ મિલેટ” જાહેર કરેલ. ભારતની આગેવાની સાથે વિશ્વના ૭૦ થી વધુ દેશોએ ટેકો આપી યુએન જનરલ એસેમ્બલી ધ્વારા સને ૨૦૨૩ ને  “ઇન્ટરનેશનલ ઇયર ઓફ મિલેટ” જાહેર કરેલ છે. તેનો મુખ્ય હેતુ મિલેટનો વિસ્તાર અને ઉત્પાદન વધારવાનો તથા ઘરેલું અને નિકાસ બજાર અંગેની સગવડ ઊભી કરવાનો છે. આ અંગે આઇસીએઆર સંચાલિત ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મિલેટ રિસર્ચ એ આગેવાની લઇ એક સંગઠન બનાવી મિલેટ ઉત્પાદનના પડકારો અને વેલ્યૂ ચેઇન અંગે કામગીરી હાથ ધરેલ છે. હાલમાં ૪૦૦ થી વધુ સ્ટાર્ટ-અપ્સ અને ફ્ક્ત કેટલાક મોટા પ્રોસેસર્સ જેવા કે આઇટીસી, બ્રિટાનિયા, કેલોગ્સ, મેરિકો, એમટીઆર ફૂડઝ, ૨૪ મંત્ર વગેરે મિલેટમાં મૂલ્ય વર્ધન સાથે સંકળાયેલ છે. ભારત સરકાર અને રાજ્ય સરકારો ધ્વારા સમગ્ર દેશમાં મિલેટનો વિસ્તાર વધારવા માટે કેટલાંક પગલાંઓ લેવામાં આવેલ છે જેની માહિતી અત્રે દર્શાવેલ છે.

(૧) ઇનિશિયેટિવ ફોર ન્યુટ્રિશનલ સીક્યોરિટી થ્રુ ઇન્ટેન્શિવ મિલેટસ પ્રમોશન (INSIMP) :

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY) ના એક ભાગ તરીકે સને ૨૦૧૨માં ઇનિશિયેટિવ ફોર ન્યુટ્રિશનલ સિક્યોરિટી થ્રુ ઇન્ટેન્શિવ મિલેટસ પ્રમોશન નામની યોજના શરૂ કરવામાં આવેલ જેમાં ₹.૩૦૦ કરોડની ફાળવણી મિલેટની કાપણી માટેના સાધનો અને તાંત્રિકતાના વિકાસ માટે તથા જે વિસ્તારમાં અસરકારક ઉત્પાદન મળતું નથી ત્યાં ઉત્પાદન વધારવા માટે ફાળવવામાં આવેલ હતા. આ યોજનાનો હેતુ સુધારેલી ઉત્પાદન અને કાપણી પછીની તાંત્રિકતાઓને સંકલિત કરી દેશમાં મિલેટ ઉત્પાદનને ઉત્તેજન મળે તે માટે પ્રદર્શિત કરવાનો હતો.આ ઉપરાંત પ્રોસેસિંગ અને મૂલ્ય વર્ધન ધ્વારા તૈયાર કરેલ મિલેટ આધારિત બનાવટોની વપરાશકારોમાં માંગ પેદા થાય તે પણ એક હેતુ હતો.

(ક)    જુવાર, બાજરી, રાગી અને ગૌણ મિલેટસ એમ ચાર મિલેટસના બ્લોક સ્તરે પસંદ કરેલ જીલ્લાઓમાં તાંત્રિક પ્રદર્શનો ગોઠવવામાં આવ્યા હતા.

(ખ)   ખેડૂતોને નવી જાતો કે સંકર જાતોના બિયારણ  કિફાયત ભાવે મળી રહે તે માટે સંકર જાતો માટે કિવન્ટલ દીઠ ₹.૩૦૦૦ અને ₹.૧૦૦૦ ની પ્રોત્સાહક રકમ ખેડૂતોને આપવાનું ઠરાવેલ જે પૈકી ૭૫ ટકા રકમ ખેડૂતોને અને ૨૫ ટકા રકમ બીજ ઉત્પાદક એજન્સીને તેની હેરફેર અને પ્રોસેસિંગ ખર્ચ પેટે આપવાનું ઠરાવેલ.

(ગ)   ત્રણ મિલેટના રાષ્ટ્રીય નિદર્શન વ તાલીમ કેન્દ્રો સ્થાપવાનું આયોજન કરેલ જેમાં જુવાર માટે હૈદ્રાબાદ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મિલેટ રિસર્ચ (IIMR) (જે પહેલાં ડાયરેકટોરેટ ઓફ સોરગમ રિસર્ચ-DSR હતું), રાગી અને ગૌણ મિલેટ માટે બેંગલોર ખાતે યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચર સાયન્સીસ (UAS) અને બાજરી માટે હિસ્સાર ખાતે ચૌધરી ચરણસિંહ હિસ્સાર એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી (CCHAU) નો સમાવેશ થાય છે. આ કેન્દ્રો ધ્વારા તાંત્રિકતાનું શુદ્ધિકરણ, ફેર ગોઠવણ અને તેના નિદર્શનો ગોઠવવામાં આવે છે. ઉદ્યોગસાહસિકતાનો વિકાસ અને તાલીમ તેમજ ઉત્પાદક તથા પ્રોસેસર્સ વચ્ચે બજારના જોડાણની સવલત પુરી પાડવામાં આવે છે.

(ઘ)   કાપણી પછીની તાંત્રિકતાઓના ફેલાવા માટે ૧૦૦ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે મિલેટના નિદર્શન વ તાલીમ માટેના યુનિટ શરૂ કરવાનું આયોજન કરવામાં આવેલ. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે શરૂ કરેલ પ્રોસેસિંગ એકમની પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે સામાન્ય ચાર્જ લેવાનું નક્કી કરેલ. એક સંપૂર્ણ પોસ્ટ હાર્વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ માટે રૂપિયા ચાર લાખનો ખર્ચ જેમાં પ્રાથમિક પ્રોસેસિંગ (થ્રી ઇન વન-ડેસ્ટોનર કમ ગ્રેડર કમ ક્લીનર + પર્લિંગ મશીન) માટે રૂપિયા બે લાખ અને દ્રિતિયક પ્રોસેસિંગ મશીનો (રવા/ફલેકિંગ મશીન-જુવાર, પોપિંગ રોસ્ટર- રાગી, પારબોઇલિંગ યુનિટ-બાજરી) માટે રૂપિયા બે લાખનો ખર્ચ થશે.

(ચ)   રાજ્યના ખેતીવાડી  ખાતાનાં સહકારથી આઇઆઇએમઆર ધ્વારા જુવાર ઉગાડતા વિસ્તારોમાં તેના પ્રોસેસિંગ માટેનો એક પાયલોટ પ્રોજેકટનું આયોજન કરવામાં આવેલ છે. આ યુનિટ આઇઆઇએમઆર અથવા ખાનગી જાહેર ભાગીદારી (પીપીપી) મોડ ધ્વારા ઉત્પાદન, પ્રોસેસિંગ, મૂલ્ય વર્ધન અને ગ્રામ્ય તથા શહેરી માર્કેટિંગને જોડશે.

(૨)    પ્રોડકશન લિન્કડ ઇન્સેટિવ સ્કીમ ફોર ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી (PLISFPI) :

(ક)    આ યોજનાનો હેતુ વૈશ્વિક ખાદ્ય ઉત્પાદનમાં હરીફાઇ પેદા કરવાનો,ખાદ્ય બનાવટોમાં ભારતીય બ્રાન્ડને ટેકો આપવાનો,ખેતી સિવાયની રોજગારીની તકોમાં વધારો કરવાનો, ખેત ઉત્પાદનની લાભદાયી કિંમત આપવાનો અને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે.

(ખ)   રેડી ટુ કૂક/રેડી ટુ ઇટ (RTC/RTE) ફૂડ પ્રોડકટસના ઉત્પાદન માટે પ્રોત્સાહન પૂરૂ પાડવું. તેમાં મિલેટ આધારિત ખોરાક, પ્રોસેસ્ડ ફળો અને શાકભાજી, મરીન પ્રોડકટસ અને મોઝારેલા ચીઝ એમ ચાર વિભાગોનો સમાવેશ કરેલ છે.

(ગ)   મજબૂત ભારતીય બ્રાન્ડ ઊભી કરી પરદેશમાં બ્રાન્ડિંગ અને માર્કેટિંગને ટેકો આપવા માટે પ્રોત્સાહન પૂરૂ પાડવું.

(૩)    ધી પ્રધાન મંત્રી ફોર્મલાઇઝોશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ (PMFME):

આ યોજના ૩૫ રાજ્યો અને કેન્દ્રશાસિત વિસ્તારોમાં આત્મિનર્ભર ભારત અભિયાન હેઠળ શરૂ કરવામાં આવી છે.     

(ક)    હાલમાં અસંગઠિત ક્ષેત્રે કાર્યરત વ્યક્તિગત સૂક્ષ્મ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોની હરિફાઇમાં વધારો કરવો અને આ ક્ષેત્રનું ઔપચારિકરણ કરવું તથા ખેડૂત ઉત્પાદક મંડળો (FPOs),સ્વ સહાય જૂથો (SHGs),અને સહકારી ઉત્પાદકોને જોડવાનું કાર્ય કરવામાં આવે છે.

(ખ)   તેનો હેતુ પ્રોસેસિંગ સવલત,લેબોરેટરી, સંગ્રહ, પેકિંગ, માર્કેટિંગ અને અન્ય સેવાઓમાં વધારો કરવાનો છે.

(ગ)   બ્રાન્ડિંગ અને માર્કેટિંગને સક્ષમ બનાવવા સંગઠિત પૂરવઠા હરોળનું સંકલન કરવું અને હાલમાં કાર્યરત બે લાખ ઉદ્યોગોને ઔપચારિક માળખામાં લાવવા.

(ઘ)   આ યોજના વન ડિસ્ટ્રીકટ વન પ્રોડક્ટ (ODOP) નો અભિગમ ધરાવે છે કે જેથી ઇનપુટસ, સામાન્ય સેવા અને પ્રોડક્ટસના માર્કેટિંગના લાભો મેળવી શકાય. એક જીલ્લામાં એક થી વધુ ઓેડીઓપી કલસ્ટર અને એક રાજ્યમાં પણ એકથી વધુ ઓડીઓપી કલસ્ટર હોઇ શકે. જે તે રાજ્ય જીલ્લાની ફૂડ પ્રોડક્ટ નક્કી કરી આ યોજના હેઠળ તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.ઓડીઓપી યોજના હેઠળ મિલેટ માટે કર્ણાટકનો દાવાનગર અને તેલંગણાનો મહબુબનગર જીલ્લા નક્કી થયા છે.

(૪)   ઓડિશા મિલેટ મિશન (OMM) :

આ યોજનાનો હેતુ ખેડૂતોના ખેતરોમાં મિલેટનું વાવેતર પુનઃજીવિત કરવા સહિત ઉત્પાદન,પ્રોસેસિંગ, વપરાશ, બજાર અને સરકારી યોજનામાં મિલેટનો સમાવેશ કરવાનો છે.

આ કાર્યક્રમ હેઠળ આહાર અને પોષણની સલામતીનો પશ્ન હલ કરવા રાજ્યના મૂળ વતની મિલેટને પ્રોત્સાહન આપવાનો છે. આ મિશનના મુખ્ય હેતુઓમાં મિલેટનો ઘરવપરાશમાં વધારો કરવોે, તાલુકા કક્ષાએ મિલેટ પ્રોસેસિંગ એકમો શરૂ કરવા,સુધારેલી ખેતી પદ્ધતિઓ ધ્વારા મિલેટની ઉત્પાદકતામાં વધારો કરવો, સ્થાનિક જાતોને સંરક્ષણ અને પ્રોત્સાહન પૂરૂ પાડવું,ખેડૂત ઉત્પાદક મંડળો ધ્વારા મિલેટનું સારૂ માર્કેટિંગ કરવું અને સંકલિત બાળ વિકાસ યોજના (ICDS), મધ્યાન્હ ભોજન યોજના (Mid Day Meal-MSM) અને જાહેર વિતરણ પદ્ધતિ (Public Distribution System-PDS) માં મિલેટનો સમાવેશ કરવો.

(૫)   કર્ણાટક ઓર્ગેનિક ફાર્મિંગ પોલિસી :

આ નીતિ હેઠળ ઓર્ગેનિક ખેતી,મિલેટ અને ગૌણ મિલેટસનું વાવેતર કરતા ખેડૂતોને હેકટર દીઠ  ₹.૧૦,૦૦૦ પ્રોત્સાહન પેટે આપવામાં આવે છે.

(ક)    ન્યુટ્રિ-સીરીયલ્સના પ્રોસેસિંગ માટે, મિલેટ પ્રોસેસિંગ મશીનરી ખરીદવાં માટે  ₹. દશ લાખ સુધીમાં ૫૦ ટકા સહાય આપવામાં આવે છે.

(ખ)   ઓર્ગેનિક મિલેટ ઉત્પાદન પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે ખેડૂતોના ફાયદા માટે માર્કેટનું જોડાણ જરૂરી છે.

(૬)    કોમ્પ્રીહેન્સિવ રીવાઇવલ ઓફ મિલેટસ કલ્ટિવેશન બાય ટ્રાયબલ્સ ઇન નોર્થ કોસ્ટલ આંધ્ર એન્ડ પાર્ટસ ઓફ રાયલસીમા :

આંધ્રપ્રદેશમાં મિલેટના પુનરૂત્થાન માટે આ કાર્યક્રમ શરૂ કરેલ છે જેનો હેતુ આદિવાસીઓના વિકાસ માટે વરસાદ આધારિત વિસ્તારોનું મિલેટ-હબસમાં રૂપાંતર કરવું જેથી મિલેટની વધતી જતી માંગ સામે પૂરવઠો પુરો પાડી શકાય.

(ક)    આ પ્રોજેક્ટના હેતુઓમાં મિલેટની ઉત્પાદકતા વધારવી, ઘરવપરાશ વધારવો,રાગીના બિસ્કીટ, ઇડલી અને ઢોસા ધ્વારા મૂલ્ય વર્ધન કરવું, બજારને ટેકો પુરો પાડવો, પ્રોસેસિંગ કેન્દ્રો શરૂ કરવાં અને બિયારણ વૃધ્ધિ કેન્દ્રો સ્થાપવાં વગેરેનો સમાવેશ થાય છે.

(ખ)   સગર્ભા અને ધાત્રી મહિલાઓ માટે મિલેટ રેસીપી અંગેનો એક પાયલોટ પ્રોજેકટ શરૂ કરેલ છે. આદિવાસી લોકોના ખોરાકમાં સુધારણા અને પોષણની સલામતી માટેની એક ઝૂંબેશ હાથ ધરી છે અને આંધ્રપ્રદેશના ઉત્તરે આવેલ દરિયા કિનારાના વિસ્તારને મિલેટ હબ તરીકે રૂપાંતર કરવાની શરૂઆત કરી છે.

(ગ)   આંધ્રપ્રદેશમાં મિલેટ આધારિત આહારને પ્રોત્સાહન આપવામાં આવે છે. સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને છ વર્ષથી નીચેની વયના બાળકો માટે આયર્ન, પ્રોટીન અને એનર્જીથી સમૃદ્ધ પોષણ મહત્ત્વનું હોઇ મુખ્યત્વે મિલેટ આધારિત આહાર સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગામ (SNP) (જેવા કે વાયએસઆર સંપૂર્ણ પોષણ યોજના-ટ્રાયબલ સબ પ્લાન) હેઠળના લાભાર્થીઓને પુરો પાડવાની ભલામણ કરેલ છે.

(૭)   મિલેટ વિલેજ સ્ક્રીમ :

કેરાલા સરકારે આ યોજના શરૂ કરેલ છે જેમાં અટ્ટાપ્પાડી ખાતે મિલેટ વિલેજ ઊભું કરી મિલેટ, રાગી, બાજરી અને મકાઇ વગેરે ધાન્યોની ખેતીને પ્રોત્સાહન આપવાનું છે. આ પ્રોજેક્ટનો હેતુ િંમલેટની પરંપરાગત જાતોના બિયારણનું સંરક્ષણ અને આદિવાસીઓની અન્નની સલામતી પુરી પાડી તેઓની જીવનશૈલી જાળવવાનો છે.

(૮)    જાહેર વિતરણ પ્રણાલી અને મધ્યાન્હ ભોજન યોજનામાં મિલેટનો સમાવેશ કરવો :

ભારત સરકારે મિલેટના વાવેતરને પ્રોત્સાહન આપવા માટે મિલેટના લઘુત્તમ ટેકાના ભાવો જાહેર કર્યા છે અને મિલેટનો જાહેર વિતરણ પ્રણાલી (PDS) અને પ્રાથમિક, માધ્યમિક શાળાઓ અને કલ્યાણ છાત્રાલયોમાં મધ્યાન્હ ભોજન માટે મિલેટનો વપરાશ શરૂ કરેલ છે.

(૯)   તેલંગણાના આંગણવાડી કેન્દ્રોમાં પોષણદાયી મિલેટનો ઉપયોગ (ઇન્ટ્રોડકશન ઓફ ન્યુટ્રિશિયસ મિલેટસ ઇનટુ આંગણવાડી સેન્ટર્સ ઇન તેલંગણા) :

આંગણવાડી કેન્દ્રોમાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ બાળકોને આપવામાં આવતા ગરમ રાંધેલા ખોરાકમાં પોષકતત્વો વધારવાના હેતુથી મિલેટનો વપરાશ કરવામાં આવેલ છે કે જેથી કુપોષણ, એનીમીયા અને ઓછુ વજન ધરવતા બાળકોની સમસ્યાઓમાં ઘટાડો કરી શકાય.

(ક)    સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ત્રણ મિલેટ ફૂડ ફેસ્ટીવલ યોજવામાં આવેલ. વધુમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રિશન (NIN)ધ્વારા કાઉન્ટ વોટ યુ ઇટ (Count What You Eat) નામનો ઓનલાઇન કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં એનર્જી અને પોષણ મૂલ્ય સહિત રેસીપીની ગણતરી અને ધોરણોની વિગતો રજૂ કરવામાં આવેલ.

(ખ)   આવા ફેસ્ટીવલના માધ્યમથી લોકોમાં મિલેટનો ખોરાકમાં વપરાશ કરવાથી થતા ફાયદાઓનો પ્રચાર કરવામાં આવ્યો જેથી લોકોને તેમના આહારમાં મિલેટનો ઉપયોગ કરવાનું પ્રોત્સાહન મળી શકે. આ મેળાવડા દરમ્યાન બાળકો અને માતાઓને ડીસોમાં મિલેટ આધારિત બનાવેલ આહાર પીરસવામાં આવેલ. આ અંગેના ફીડબેક લોકો, માતાઓ, લોકપ્રતિનિધિઓ, આંગણવાડી વર્કર, હેલ્પર્સ, બાળકો પાસેથી મેળવવામાં આવેલ.

 (૧૦) ધી ન્યુટ્રિહબ-ટેકનોલોજી  બિઝનેસ ઇનક્યુબેટર (TBI) :

હૈદ્રાબાદ ખાતે આવેલ આઇઆઇએમઆર સંસ્થામાં સને ૨૦૧૭ માં મિલેટ આધારિત સ્ટાર્ટઅપ ઇકોસીસ્ટમને સક્ષમ કરવાના હેતુથી ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (DST) અને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના-રફતાર (RKVY-RAFTAAR) ના નાણાંકીય સહયોગથી ધી ન્યુટ્રિહબ-ટેકનોલોજી બિઝનેસ ઇનક્યુબેટરની સ્થાપના કરવામાં આવેલ છે જે હાલમાં ૨૦૦ થી વધુ મિલેટ આધારિત સ્ટાર્ટઅપને વિવિધ પ્રોસેસિંગ હરોળ મારફતે મૂલ્ય વર્ધિત બનાવટોના ઉત્પાદન માટે ટેકનોલોજી માર્ગદર્શન, ક્ષમતા નિર્માણ નાણાંકીય મદદ, બજારની સવલત અને માળખાકીય બાબતે ટેકો પુરો પાડે છે.

(૧૧)   કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ :

આ વિભાગના ટેકાથી હૈદ્રાબાદ ખાતે આઇઆઇએમઆર (IIMR) હિસ્સાર ખાતે સીસીએસએચએયુ (CCSHAU) અને બેંગલુરૂ ખાતે યુએએસ (UAS) ખાતે મિલેટના ત્રણ સેન્ટર ઓફ એકસેલન્સ (CoE) સ્થાપવામાં આવ્યા છે. તેઓએ ઘણી મૂલ્ય વર્ધિત ટેકનોલોજી વિકસાવી છે. ફક્ત આઇઆઇએમઆર એકલાએ જ ૭૦ થી વધુ મૂલ્ય વર્ધિત તાંત્રિકાઓ સહિત ૩૦ જેટલી પ્રોડક્ટસના ડોકેટ વિકસાવ્યા છે કે જેનું ઇટરાઇટ (Eatrite) બ્રાન્ડથી વ્યાપારીકરણ કરેલ છે તથા તેટલી જ પ્રોસેસિંગ મશીનરી પ્રખ્યાત અને પ્રમાણિત કરેલ છે.

(૧૨)   એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન મિલેટસ :

રાજસ્થાન સરકારે આ યોજના હેથળ તાજેતરમાં મિલેટના અંદાજે ૧૦૦ જેટલા પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત અંદાજપત્રમાં કરેલ છે.

(૧૩)   બજેટમાં ફાળવણી :

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩ ના સંદર્ભમાં મિલેટસમાં કાપણી બાદ મૂલ્ય વર્ધન,વપરાશ અને પ્રોડકટના બ્રાન્ડિંગ માટે કૃષિ અને ગ્રામ્ય ઉદ્યોગોના સ્ટાર્ટઅપને નાણાંકીય મદદ કરવા,ખેડૂત ઉત્પાદક મંડળોને બિઝનેસ માટે ટેકો આપવા અને મિલેટ ઉત્પાદનમાં વધારો કરવા માટે અંદાજપત્રમાં જોગવાઇ કરવામાં આવેલ છે.

(૧૪) મિલેટ પ્રમોશન કાઉન્સીલની સ્થાપના :

આંતરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩ અને ત્યારબાદના સમયમાં સમગ્ર વિશ્વમાં મિલેટનો ફેલાવો કરવા તથા સરકાર અને ઉદ્યોગ વચ્ચે સમન્વય સાધવા તથા સવલતો પુરી પાડવા માટે મિલેટ પ્રમોશન કાઉન્સીલની રચનાની દરખાસ્ત રજૂ કરેલ છે.

(ક)    આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩ ના સમયમાં મિલેટનો વેપાર અને વૈશ્વિક ચિતાર :

  વિશ્વના કુલ મિલેટ ઉત્પાદનના અંદાજે ૧૫ ટકા મિલેટ ઉત્પાદન સાથે ભારત વિશ્વમાં અગ્ર ક્રમે છે. ભારત વર્ષે અંદાજે ૧૫૦ લાખ મે.ટન મિલેટનું ઉત્પાદન કરે છે. ભારત મિલેટની નિકાસમાં દ્રિતીય ક્રમે છે. છેલ્લા ત્રણ વર્ષમાં સતત ૧૨ ટકાના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દરથી વધારો થવા પામેલ છે. મિલેટનું બજાર હાલમાં નવ અબજ ડોલરનું છે જે સને ૨૦૨૫માં વધીને ૧૨ અબજ ડોલર એ પહોંચશે. મિલેટની આયાત કરતા પ્રથમ ૧૦ દેશોમાં જાપાન, ઇન્ડોનેશિયા, જર્મની, બેલ્જીયમ, નેધરલેન્ડ, ઇટાલી, યુકે, પોલેન્ડ, ચીન અને રીપબ્લિક ઓફ કોરીયાનો સમાવેશ થાય છે જે વિશ્વની કુલ મિલેટ આયાતના ૬૪ ટકાનો ફાળો ધરાવે છે. ભારતમાંથી ૮૦ ટકા મિલેટની  નિકાસ નેપાળ, સાઉદી અરેબિયા, પાકિસ્તાન, યુએઇ, ટયુનીશીયા, શ્રીલંકા, લિબીયા, નામીબિયા અને મોરોક્કો વગેરે દેશોમાં થાય છે. આઇઆઇએમઆર (IIMR) અને અપેડા (APEDA) મિલેટ સ્ટાર્ટઅપ્સને મૂલ્ય વર્ધન, નવા પ્રવાહો અને બજાર નિકાસની શકયતાઓ વિષે માર્ગદર્શન આપે છે. આ કાઉન્સીલ ઇક્રીસેટ (ICRISAT), એનઆઇએન (NIN),આઇઆઇએફપીટી (IIFPT), ડીઆરએફએલ (DRFL) સીએફટીઆરઆઇ (CFTRI), પ્રાઇવેટ કંપનીઓ, ખેડૂત ઉત્પાદક મંડળો (FPOs) વગેરેને સાથે રાખીને મિલેટની નિકાસ માટેના ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરશે.

(ખ) વૈશ્વિક બજારમાં ભારતીય મિલેટની ભાવિ શક્યતાઓ :

મિલેટના નિકાસની શક્યતાઓ માટે તેના ઉભરતા વલણો એટલે કે પ્રવાહ તથા નિકાસની શક્યતાવાળા દેશો એમ બંને વિગતો જાણવી જરૂરી છે. નીતિ વિષયક હસ્તક્ષેપ જેવા કે મિલેટનો રેમિશન ઓફ ડ્યુટીઝ/ટેક્ષીસ ઓન એક્ષપોર્ટ પ્રોડકટસ (RODTEP) યોજનામાં સમાવેશ થયો છે જે મિલેટની નિકાસમાં મદદરૂપ થઇ શકે છે.

(ગ) હાલનું બજાર :

ભારત દેશ એ સને ૨૦૧૯-૨૦ માં ૨૬૯.૭ લાખ યુએસ ડોલરની મૂલ્યના મિલેટની નિકાસ કરેલ જે વર્તમાનમાં ૨૮ લાખ યુએસ ડોલર છે. જેમાં પ્રથમ ત્રણ દેશોમાં નેપાળ (૬૦.૯ લાખ યુએસ ડોલર), યુએઇ (૬૦.૯ લાખ યુએસ ડોલર) અને સાઉદી અરેબિયા (૩૮.૪ લાખ યુએસ ડોલર) નો સમાવેશ થાય છે. અન્ય સાત દેશોમાં લિબીયા, ટયુનીશીયા, મોરોક્કો, યુકે, યેમેન, ઓમાન અને અલ્જીરીયાનો સમાવેશ થાય છે. મિલેટની આયાત કરતા દેશોમાં મિલેટની જાણકારી પુરી પાડવામાં આવે તો તેની માંગમાં સખત વધારો થવા પામે. હાલના તબક્કે માર્કેટને લક્ષમાં રાખી એકથી વધુ મિલેટસની પસંદગી કરી ચેમ્પિયન મિલેટ જેવી અદ્યતન બનાવટો બનાવી જે રીતે દૂધ કેલ્શિયમ માટે, ઇંડાં પ્રોટીન માટે , કિવનોઆ (Quinoa) રેસા અને પ્રોટીન માટે તે જ પ્રમાણે મિલેટની એક બ્રાન્ડ તૈયાર કરવી જોઇએ. આંતરરાષ્ટ્રીય બજારમાં મિલેટ માટે સ્થાનિક િંમલેટ આહાર (Local Millet Food) અથવા દેશી આહાર (Desi Food) ના નામે બ્રાન્ડ (ઓળખ) થવી જોઇએ


સંદર્ભ : નોલેજ પેપર ઓન મિલેટસ-ધ ફયુચર સુપર ફૂડ ફોર ઇન્ડિયા (જૂન, ૨૦૨૨), ધી એસોસિયેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા-એસોચેમ (ASSOCHAM).


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail : krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *