ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને અન્ય પ્રવૃત્તિઓ જેવી કે ખેતીમાં રાસાયણિક ખાતરો, જતુંનાશક દવાઓ વગેરેના ઉપયોગમાં વધારો થવાને કારણે સમુદ્ર, સરોવર, તળાવ, તલાવડી, ડેમ, નદીઓ, ઝરા-ઝરણાં વગેરે પ્રદૂષિત થયાં છે. ભારતની ૧૪ મોટી નદીઓ (જેવી કે ગંગા, ગોમતી, કાવેરી, દામોદર, મહી વગેરે) પ્રદૂષિત થયેલ નોંધાયેલ છે. બિહારના ઘણા વિભાગોમાં દામોદર નદીમાં પાણીમાં દ્રાવ્ય ઓક્સીજનનું પ્રમાણ જોવા મળેલ નથી અને તેથી મોટા ભાગની વનસ્પતિઓ અને પ્રાણીઓનો નાશ થયો છે. પશ્ચિમ ભારતના વડોદરા વિસ્તારની મહી નદીમાં પણ ઔદ્યોગિક અને પેટ્રોકેમિકલ વેસ્ટનું ઘણું ઉચ્ચ પ્રમાણ નોંધાયું છે. ઉત્તર ભારતની ૨૪૮૦ કિ.મી. લાંબી ગંગા નદી કે જે હરધ્વાર અને કોલકત્તા વચ્ચે ૨૪ જેટલા મોટા શહેરોને આવરી લે છે તે પણ શહેરી પ્રવાહી કચરો, અર્ધબળેલ શબ, જંતુનાશક દવાઓ વગેરેથી પ્રદૂષિત થયેલી છે જે ઉત્તર ભારતના ૨.૫૦ કરોડ લોકોને અસર કરે છે. એક રિપોર્ટમાં શ્રી અગ્રવાલના જણાવ્યા મુજબ ઘણા સ્થળે ગંગા નદીના પાણીના ૧૦૦ સીસી નમૂનામાં ૮૦૦૦ કોલાઈ જીવાણુઓ જોવા મળેલ છે તેમજ પાણીમાં ૨૦૦૦ થી પણ વધુ રાસાયણિક પદાર્થોની હાજરી જોવા મળી છે જે પૈકી પીવાના પાણીમાં ૭૦૦ જેટલા રાસાયણિક પદાર્થો નોંધાયા છે કે જે ખેતી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓવાળા વિસ્તોરાના પાણીમાં હતા. આમાંના ૫૦ ટકા જેટલા પદાર્થો કેન્સરજનક તરીકે નોંધાયા હતા. ભારતમાં દર વર્ષે લાખો લોકો પ્રદૂષિત પાણીને કારણે ટાઈફોઈડ, કોલેરા, મરડો વગેરેથી મૃત્યુ પામે છે. પાણીમાં દ્રાવ્ય ઓક્સીજનનું પ્રમાણ ઓછું હોવાથી જળ ઉપર નભનાર જીવંત સૃષ્ટિ ઉપર ઘાતક અસર થાય છે. અત્રે જળ પ્રદીષકોની માનવીના સ્વાસ્થ્ય ઉપર અસર અંગેની માહિતી કોઠા-૧ માં દર્શાવેલ છે.
કોઠો–૧ : કેટલાક જળ પ્રદૂષકોની માનવીના સ્વાસ્થ્ય પર અસર
| ક્રમ | પ્રદૂષક પદાર્થ | સ્ત્રોત | માનવીના સ્વાસ્થ્ય પર અસરના ચિન્હો |
| ૧ | પોલીક્લોરીનેટેડ | વીજળીના ઉપકરણોના ઉત્પાદનમાં વપરાશ, સાબુ, ક્રીમ, પેઈન્ટ, પેપર વેક્સ વગેરેની બનાવટમાં વપરાશ | થાક, ઊલ્ટી, પેટમાં દુઃખાવો, આંતરડામાં તકલીફ, થોડો સમય આંખે દેખાવાનું બંધ થવું, મૃત બાળકને જન્મ આપવો |
| ૨ | વિનાઈલ ક્લોરાઈડ | પ્લાસ્ટિકમાં ઉપયોગ | યકૃત, હાડકાં, રૂધિરાભિસરણ તંત્ર, મગજ ઉપર અસર, યકૃતનું કેન્સર, મગજનું કેન્સર |
| ૩ | બેન્ઝીન | ડીટરજન્ટ, મોલ્ડીંગ, કીટનાશક દવાઓમાં ઉપયોગ | એનેમિયા, લ્યુકેમિયા |
| ૪ | આલ્ડ્રીન/ડિલ્ડ્રીન | કીટનાશી દવાઓ | શરીરમાં ધ્રુજારી, આંચકી, મૂત્રપિંડને નુકસાન |
| ૫ | ડીડીટી | કીટનાશી દવાઓ | ધ્રુજારી, કેન્દ્રિય ચેતાતંત્રને નુકસાન |
| ૬ | ડાયોક્ષિન | નીંદણનાશક દવા | શક્તિશાળી કેન્સરજનક, રંગસૂત્રોમાં વિકૃતિ પેદા કરે |
| ૭ | નાઈટ્રેટસ અને નાઈટ્રાઈટસ | સેપ્ટીક ટેન્ક, વધુ ખાતરો વાપરતો પાક, સુએઝ | મીથાએમોગ્લોબિન કે જે ‘મીથેએમોગ્લોબિનેમિયા’ નામનો ગંભીર રોગ પેદા કરે છે. |
નાઈટ્રાઈટસ :
વાતાવરણ કરતાં પાણીમાં થતું પ્રદૂષણ માનવીને થતી માંદગી માટે વધુ જવાબદાર ગણી શકાય. સૂક્ષ્મજીવાણુઓ અને પરજીવીઓથી પાણી મારફતે સહેલાઈથી માનવીમાં રોગોનો ચેપ લાગે છે. કોલેરા વિબ્રિઓ કોલેરી નામના જીવાણુથી થતાં ઝાડાને કારણે માનવીના શરીરમાંથી મોટા ભાગનું પાણી ઘટી જતાં પુરતી સારવાર નહિ મળવાને કારણે ઘણી મોટી સંખ્યામાં માનવીઓ મૃત્યુ પામે છે. પહેલાનાં સમયમાં આખા વિશ્વમાં કોલેરાની અસર થતી પરંતુ ૨૦ મી સદીમાં ખાસ કરીને એશિયા ખંડના ગંગા નદીના વિસ્તારમાં કોલેરા જોવા મળેલ. સને ૧૮૯૮ થી ૧૯૦૭ ના નવ વર્ષના સમયગાળામાં અંદાજે ૩,૭૦,૦૦૦ લોકોનું મૃત્યુ કોલેરાથી થયેલ. હાલ પણ ભારતમાં ઘણા લોકો કોલેરાથી મૃત્યુ પામે છે. આ જ કારણે પીવાના પાણીમાં કે પ્રદૂષિત પાણીમાં રહેલ નુકસાનકર્તા જીવાણુઓ અને પરજીવીને પાણીમાંથી દૂર કરી બિનચેપી બનાવવાની જરૂરિયાત છે. આ રોગની સારવાર માટે ગ્રામ્ય લોકો મોટા પ્રમાણમાં પોતાની મૂડી વાપરે છે અથવા તો ઉછીની રકમ લઈ દેવું કરે છે જેના કારણે ગ્રામ્ય લોકો પોતાને જોઈતી જરૂરિયાતો, બાળકોનું શિક્ષણ અને સંભાળ વગેરે ઉપર પૂરતુ ધ્યાન આપી શકતા નથી. જળ પ્રદૂષણથી થતા કેટલાક રોગો અને જળ પૂરવઠાના આધારે ચેપી રોગોના વર્ગીકરણની માહિતી કોઠા-૨ અને ૩ માં દર્શાવેલ છે.
કોઠા-૨ : જળ પ્રદૂષણથી થતા કેટલાક રોગો
| સ્ત્રોત | રોગ | કારણ |
| નબળી સ્વચ્છતાને કારણે રોગકારક જીવાણુઓની હાજરી કે જે રોગના વાહક તરીકે કાર્ય કરે | કોલેરા,ટાઈફોઈડ, હીપેટાઈટીસનો ચેપ | નબળી સ્વચ્છતા અને પાણીની નબળી ગુણવત્તા |
| ખાસ કરીને રણ વિસ્તારમાં અપૂરતુ પાણી કે જેથી નિયમિત રીતે સ્નાન ન થતાં ચેપનો વિકાસ કરે | ખંજવાળ, ચામડી પર જીણી ફોલ્લીઓ, રક્તપિત્ત, નેત્રખીલ | ઓછા પાણીનો વપરાશ અને ઓછી વ્યક્તિગત ચોખ્ખાઈ |
| જળમાં રહેલ પ્રાણીઓમાં રોગના વાહકના જીવનચક્રથી ચેપ લાગે છે. આવું પાણી પીવાથી કે તેમાંથી પસાર થતાં વાહક કે કીટકોના કરડવાથી | સ્કિટોસોમિઆસિસ અને ગિનિ કૃમિ જેવા જળ સંબંધિત વાહકોના કરડવાથી થતો રોગ | ચેપયુક્ત પાણીનો વપરાશ અને પાઈપ મારફતે પાણી પહોંચાડવાની સગવડ ન હોવાથી |
કોઠા–૩ : જળ પૂરવઠાના આધારે ચેપી રોગોનું વર્ગીકરણ
| ક્રમ | વર્ગ | રોગો | સંબંધિત જળ સુધારણા |
| (ક) | પાણીથી ફેલાતા | ||
| ૧ | ક્લાસીકલ | ટાઈફોઈડ, કોલેરા | માઈક્રોબાયોલોજીકલ સ્ટરીલિટી (વંધ્યતા) |
| ૨ | નોન કલાસીકલ | હીપેટાઈટીસ | માઈક્રોબાયોલોજીકલ સુધારણા |
| (ખ) | પાણીના સ્પર્શથી ફેલાતા | ||
| ૧ | ચામડી અને આંખો | ખંજવાળ, નેત્રખીલ | વધારે કદ ઉપલબ્ધ કરાવવું |
| ૨ | ઝાડા કરતા રોગો | બેસિલરી મરડો | વધારે કદ ઉપલબ્ધ કરાવવું |
સ્ત્રોત : કિસાન વર્લ્ડ, વોલ્યુમ-૩૮, નં-૮
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

